શિવરાત્રીનાં મેળામાં કિર્તીદાન ગઢવીનાં ભજન સાંભળવા સેકડો લોકો આવે છે. પરંતુ ચાલુ વર્ષ કિર્તીદાન ગઢવીનું ભોજન આરોગવા અનેક લોકો આવશે. ચાલુ વર્ષ મેળામાં કિર્તીદાન દ્વારા ઉતારો શરૂ કરવામાં આવ્યો છે.
Ashish Parmar, Junagadh : કહેવાય છે કે, ટુકડો ત્યાં હરિ ઢુકડો. કાઠીયાવાડમાં આવતા વ્યક્તિ ક્યારેય ભૂખ્યું નથી રહેતાં. હર હર મહાદેવના નાદ સાથે આજે મહાશિવરાત્રીના મેળાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. અહી ચાલતા 365 દિવસના સદાવ્રત ઘણા લોકોને ભોજન આપે છે. પરંતુ મહાશિવરાત્રીના મેળામાં આવતા લાખો ભાવિક, ભક્તોને કેટલાય અન્નક્ષેત્રો નિઃ શુલ્ક ભોજન કરાવે છે.ત્યારે ભાવિકોની સેવા કરવામાં કિર્તીદાન ગઢવી પણ જોડાયા છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં અનેક ઉતારામાં અત્યાર સુધી કિર્તીદાન ગઢવી ભજન ગાવા આવતા હતાં. પરંતુ હવે પોતે જ લોકોની સાથે ભજન, ભોજન અને શિવની ભક્તિમાં લીન થશે.
પ્રથમ વખત જ કર્યું છે ઉતારાનું આયોજન
કિર્તીદાન ગઢવી દ્વારા સૌ પ્રથમ વખત જ મહાશિવરાત્રીના મેળામાં ઉતારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉતારાના આયોજનમાં લાખો લોકો અહીં બેસી શકે, આરામ કરી શકે, ભજન કરી શકે અને ભોજન કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં પોતાના 100 થી વધુ સ્વયંસેવકો પણ સેવામાં હાલ જોડાયા છે.
લોકોને મળશે ગરમા ગરમ ભોજન
કિર્તીદાન ગઢવી દ્વારા અહીં લોકોને ગરમા ગરમ ભોજન કરાવવા માટે રસોડામાં સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં એક સાથે ઘણા બધા લોકો જમી શકે અને અહીં આવેલા વ્યક્તિ ભૂખ્યો ન જાય તે માટે સ્વયંસેવકોની ફોજ કામે લાગી છે.
શનિવાર સુધીમાં લાખો લોકો મેળાની મુલાકાત લેશે
શનિવારે મહાશિવરાત્રી છે. ચાર દિવસીય મેળામાં લાખો લોકો મેળાની મુલાકાત લેવા માટે ઉમટી પડશે. હાલ અનેક ક્ષેત્રોમાં 24 કલાક જમવાની વ્યવસ્થા થઈ શકે તેવી સવલતો ઉભી કરી છે. જેમાં સવારે નાસ્તો, બપોરે અને રાત્રે જમવાની વ્યવસ્થા કરાઇ છે.