Junagadh News: શિયાળો (Winter 2021) હવે એક્શનમાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે! જૂનાગઢ શહેરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે, ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં (Sakkarbaug Zoo) વસવાટ કરતાં પ્રાણીઓને શિયાળાની ઠંડીથી બચાવવા (Winter Protection) માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યાં છે. સક્કરબાગના પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.
શિયાળાની શરૂઆત સાથે જ જૂનાગઢ શહેરમાં વહેલી સવારે અને સાંજે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. આખો દિવસ ઠંડા પવનના સુસવાટા ફૂંકાય રહ્યાં છે, એવામાં જનજીવન સાથે વન્યજીવનને પણ અસર પહોંચતી હોય છે, ત્યારે જૂનાગઢ સક્કરબાગ ઝૂ ના આરએફઓ નીરવ મકવાણાના જણાવ્યાં પ્રમાણે; પ્રાણી સંગ્રહાલયમાં રહેતાં 1500 થી વધારે પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે અનેકવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને વન્યપ્રાણીઓના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને તેમને પૂરતી ગરમી મળી રહે.
સક્કરબાગના વન્યપ્રાણીઓમાં સિંહ, વાઘ અને દીપડા જેવા પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે તેના પાંજરાની દીવાલોને ગાર માટીથી લીપવામાં આવી છે, એટલું જ નહીં રાત્રીના સમયે આ પ્રાણીઓને શેલ્ટર હાઉસમાં શિફ્ટ કરી દેવામાં આવે છે, જ્યાં લાગેલા હિટરથી તેઓને પૂરતી ગરમી મળી રહે છે. જ્યારે તૃણભક્ષી પ્રાણીઓને શિયાળાની કાતિલ ઠંડીથી બચાવવા માટે, તેમના પાંજરામાં સૂકું ઘાસ પાથરી દેવામાં આવ્યું છે, જેથી પાંજરામાં તે પ્રાણીને ગરમીનો અહેસાસ થઈ શકે અને ઠંડીથી રક્ષણ મેળવી શકે.
કેટલાંક સસ્તન અને તૃણભક્ષી પ્રાણીઓ તેમજ વિવિધ પક્ષીઓના પાંજરા ફરતે ગ્રીનનેટ બાંધી દેવામાં આવી છે, જેના લીધે રાત્રીના સમયે અને વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવનથી તેને રક્ષણ પૂરું પાડી શકાય. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં ગરમ હૂંફ માટે હિટર પણ મુકવામાં આવ્યાં છે. સાપ, અજગર જેવાં સરિસૃપોનું લોહી ઠંડુ હોય છે, ત્યારે તેને રક્ષણ આપવા માટે તેના રહેણાંકમાં સૂકું ઘાસ પાથરવામાં આવ્યું છે, સાથે માટલાની અંદર બલ્બ ફિટ કરીને તેઓને રાત્રીના સમયે ગરમી આપવામાં આવે છે. આમ, જુદાજુદા પ્રાણીઓ માટે જુદાજુદા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.