જૂનાગઢ: જૂનાગઢનું સક્કરબાગ ઝૂ (Sakkarbaug Zoo) હંમેશાથી પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અનેક પ્રકારનાવન્યજીવો (Wild Animal) વસવાટ કરે છે, સાથોસાથ અહીં સક્કરબાગમાં છ જેટલાં વન્યજીવોના બ્રિડિંગ સેન્ટર (Breeding Centers) પણ કાર્યરત છે. સક્કરબાગ સ્ટાફ દ્વારા થતી માવજત અને દેખરેખથી સક્કરબાગમાં જન્મતા બાળ વન્યજીવોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ચાલુ વર્ષે છેલ્લાં અગિયાર મહિનામાં 50 થી વધારે વન્યજીવોના બચ્ચાનું આગમન સક્કરબાગમાં થયું છે.
આ અંગે વધુ માહિતી આપતાં જૂનાગઢ સક્કરબાગ ઝૂ ના રેન્જ ઓફિસર નીરવ મકવાણાએ જણાવ્યું કે, સક્કરબાગ ઝૂ એ માત્ર પ્રાણી સંગ્રહાલય નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા વન વિભાગના નેતૃત્વમાં અહીં જુદાજુદા પ્રાણીઓના છ જેટલાં બ્રિડિંગ સેન્ટર કાર્યરત છે. જેમાં એશિયાટિક સિંહ, ચોશીંગા હરણ, ભારતીય ગીધ વગેરેના બ્રિડિંગ સેન્ટર સક્કરબાગમાં કાર્યરત છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ચાલુ વર્ષ 2021 માં જાન્યુઆરી થી નવેમ્બર સુધીમાં સક્કરબાગ ઝૂ ખાતે કુલ 29 સિંહબાળનો જન્મ થયો છે, જે ઉપરાંત માદા ભારતીય વરુએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે, તેમજ ઇન્ડિયન બાયસન અને ભારતીય ઘુળખરે એક-એક બચ્ચાંને જન્મ આપ્યો છે. ભારતીય ગીધના બ્રિડિંગ સેન્ટરમાં આ વર્ષે એક ગીધનો જન્મ થયો છે. આમ, છેલ્લાં 11 મહિનામાં અલગ-અલગ વન્યજીવોને ત્યાં 50થી પણ વધારે બાળ વન્યજીવનું આગમન થયું છે. જે સમગ્ર સક્કરબાગ ઝૂ તેમજ વન વિભાગ માટે ખુશીની વાત ગણાવી શકાય.
રેન્જ ઓફિસર નીરવ મકવાણાએ વધુમાં ઉમેર્યું કે; હજુ આ વર્ષનો એક મહિનો એટલે કે, ડિસેમ્બર મહિનો બાકી છે, ત્યારે વધુ સારા પરિણામોની આતુરતા પૂર્વક પ્રતીક્ષા થઈ રહી છે.