Kishor chudasama, jamnagar: જામનગરમાં આવેલી રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા 'ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ' દ્વારા આયુર્વેદ થકી સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી 'આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો' નું આયોજન કરાયું હતું. જે સંપન્ન થયો છે. ત્યારે ચાર દિવસીય આ મેળામાં દરરોજ 15 થી 20 હજાર લોકો મુલાકાતે આવતા હતા. જેથી ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મેળામાં આત્યંરે સુધીમાં 60 હજારથી વધુ લોકોએ મુલાકાત લઈ મેળાને વધાવી લીધો હતો.
500 જેટલી વાનગીઓની યાદી તૈયાર કરાઇ હતી
એક્સ્પોમાં મુલાકાતીઓ માટે અનેકવિધ આકર્ષણો, સારવાર કેમ્પ, ફોટોગ્રાફી પોઇન્ટ, આયુર્વેદ દવા- રોપા વિતરણ અને વાનગી મેળા જેવા વિવિધ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા. જેમાં મિલેટ્સ એટલે કે જાડા ધાન્યો આધારિત ખાણીપીણીની વૈવિધ્યસભર વાનગીઓ બનાવવામાં આવી છે. મિલેટ્સ- જાડા ધાન્યના ઉપયોગથી સ્વાસ્થ્યને વધુ મજબૂત કરી શકાય છે. તે ભાવનાને કેન્દ્રવર્તી બનાવી આઈ. ટી. આર. એ.ના ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક તબ્બકે કુલ 500 જેટલી વાનગીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.
જેમાંથી 86 વાનગીને પસંદ કરાઈ હતી. આ ઉપરાંત, 80 જેટલી પેકેટ ફૂડ આઈટમ્સ પણ તૈયાર કરવામાં આવી છે. મિલેટ્સ આધારિત વિવિધ કુઝીન એક્સ્પોમાં જામનગરની જનતા માટે સ્વાદ અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ રચાયો છે. મેળામાં વિધાર્થીઓ દ્વારા લોકોને આ વાનગી બનાવવા અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ રિસીપી મેકિંગ અને પેમ્ફ્લેટસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં મિલેટ્સ આધારિત સૂપ, સ્ટાર્ટર, મેઇનકોર્ષ, સ્નેક્સ, સ્વીટ્સ, ડેઝર્ટ , હોટ- કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ જેવી કેટેગરી તૈયાર કરાઈ છે. આ ઉપરાંત, અન્ય વાનગીઓમાં રાગી પાપડી ચાટ, મિલેટ્સના દહીંવડા, રાગી- જુવાર- બાજરાનું બનેલું ખીચું, મિલેટ્સના ચિલ્લા, મિલેટ્સ પેન કેક, જુવારના પીઝા, મલ્ટી મિલેટ્સ થેપલા, મિલેટ્સ નાચોઝ, મિલેટ્સની બનેલી વિવિધ ફ્લેવર વાળી ખીચડી, જાંબુ, મિલેટ્સ લાડુ, મિલેટ્સ ફાલુદા, મિલેટ્સ રબડી, મિલેટ્સના વિવિધ ડ્રિંક્સ અને સ્મૂધીઝ તૈયાર કરવામાં આવ્યા છે.