જામનગરઃ ભૂમાફિયા જયેશ પટેલને જામનગર લાવવામાં આવશે. લંડનની જેલથી જયેશ પટેલને ભારત પાછો લાવવામાં આવશે. 7.30 આસપાસ જામનગર એસપીને મેઇલ મારફતે જાણ કરવામાં આવી હતી. એસપી પ્રેમસુખ ડેલુ અને પૂર્વ આઈઓ નીતિશ પાંડેની મહેનત રંગ લાવી છે. ત્યારે 300 પાના આસપાસ ચુકાદો આવ્યો છે. એક્સ્ટ્રા ડિશન અંતર્ગત ચુકાદો આપવામાં આવ્યો છે.
બે મુખ્ય કેસમાં ફરાર આરોપી
જામનગરના ખૂબ જ ચકચારી મર્ડર કેસ અને જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલને લંડન કોર્ટે ભારત મોકલવાનો આદેશ આપ્યો છે. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા અને જમીન કૌભાંડ કેસમાં આરોપી જયેશ પટેલ ફરાર છે. ત્યારે લંડનમાં ઝડપાયા બાદ ત્યાંની જેલમાં બંધ હતો. ત્યાંથી ભારત પરત આવે તે માટે જામનગર અને ગુજરાતની પોલીસે અથાક પ્રયત્નો કર્યા હતા અને આખરે તેમાં સફળતા મળી ચે. ત્યારે કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ તેને ટૂંક સમયમાં લંડનથી ભારત પરત લાવવામાં આવશે.
જામનગરના વકીલ કિરીટ જોશીની એપ્રિલ 2018માં હત્યા કરાવી હતી અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો. ગેંગસ્ટર જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને પકડવા માટે ભારતે બ્રિટનને જણાવ્યું હતું. જામનગરમાં મોટાભાગના જમીન કૌભાંડ જયેશ પટેલે કર્યા છે. ત્યારે અલગ અલગ કેસમાં તેની સામે 40થી વધુ ફરિયાદ કરવામાં આવી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં ચપ્પાના ઘા મારીને હત્યા કરાવી નાંખી હતી. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.
બોગસ પાસપોર્ટના લઈ લંડન પહોંચ્યો
જયેશ પટેલ વકીલ કિરીટ જોશીના હત્યા કેસમાં ફરાર હતો. ત્યારે બે વર્ષ પહેલાં તેની સામે લંડનમાં બોગસ પાસપોર્ટને લઈને ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલનો અસલી પાસપોર્ટ જામનગર કોર્ટમાં જમા છે. ત્યારે બોગસ પાસપોર્ટને આધારે તે લંડન પહોંચ્યો હતો. લંડન પોલીસે તેની સામે કાર્યવાહી પણ કરી હતી. બીજી તરફ, ગુજરાત અને જામનગરમાં નોંધાયેલા કેસ મામલે તેને ભારત પરત લાવવાના પ્રયાસ પણ ચાલુ હતા. ત્યારે વિદેશની ધરતી પર લાંબી કાયદાકીય લડાઈ બાદ તેને પરત લાવવા માટેની લીલીઝંડી મળી ગઈ છે.