Kishor chudasama, Jamnagar: ગણતરીના દિવસોમાં બજેટ 2023 રજૂ થવા જઈ રહ્યું છે. સંસદમાં 1 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન નાણાકીય વર્ષ 2023, 24નું યુનિયન બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટમાં જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે નાણાં ફાળવી સહાયની જાહેરાત કરવામાં આવે તેવી જામનગરના ઉદ્યોગકારો માંગ અને આશા અપેક્ષા રાખી રહ્યા છે.
જીએસટી રિબેટ તાત્કાલિક ચુકવવામાં આવે તેવી માંગ
જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે અહીંની અનેક પ્રોડક્શનની વિદેશમાં પણ મોટી માંગ રહે છે અને વિદેશમા આ વસ્તુની મોટે પાયે નિકાસ પણ કરવામાં આવે છે પરંતુ હાલ આ ઉદ્યોગ અનેક સમસ્યાઓથી ઘેરાયો છે. મંદી અને મોંઘવારીનો પડછાયો પડતા બ્રાસ ઉધોગ સહાયનો બુસ્ટર ડોઝ જંખી રહ્યો છે.
જામનગરમા બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા જય વસોયાએ જણાવ્યું કે તેઓ, જાપાન, જર્મની, ચીન સાહિતના દેશોમાં બ્રાસ પ્રોડકટનું એક્સપોર્ટ કરી રહ્યા છે. જેમાં 18 ટકા જીએસટી ભરવામાં આવે છે. પરંતુ જીએસટીના રિબેટ લેવામાં સમય લાગતો હોવાથી ઉદ્યોગકારોના નાણાં અટવાયેલા રહે છે. જેથી તેઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે આ લોકોની પરેશાની પારખી જીએસટી રિટર્ન તાત્કાલિક ચુકવવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
ડ્રો બેકમાં વધારો કરવા માંગ
વધુમાં સરકાર દ્વારા મશીનરી ખરીદવા માટે ઉદ્યોગકારોને 15 ટકા જેટલી સહાય પણ કરવામાં આવતી હતી. જે હાલ બંધ કરી દેવામાં આવી છે જેને ફરી શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ હોવાથી તે મહત્વનું સાબિત થઈ રહ્યું છે. વધુમાં એક્સપોર્ટ કરતા ઉદ્યોગકારોને દોઢ ટકા ડ્રો બેક અપાઈ રહ્યું છે જેમાં વધારો કરી 5 ટકા કરવામાં આવે તો બ્રાસ પ્રોડક્ટની કોસ્ટ ઘટી શકે છે જેથી વિદેશ બજારમાં આ પ્રોડક્ટ ટકી શકે અને વિદેશી હૂંડિયામણ કમાઈ શકે. તેવી વેપારીઓ માંગ કરી છે.