Kishor chudasama Jamnagar: જામનગર પંથકમાં મોક્ષ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા માનવતાની મહેક પ્રસરાવવામાં આવી રહી છે.આ સંસ્થા દ્વારા છેલ્લા 17 વર્ષથી બીનવારસુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સંસ્થાના સેવાભાવીઓ દ્વારા વિસ્તારમાંથી મળી આવેલા બિનવારસુ મૃતદેહોનો મોતનો મલાજો જાળવી નિઃશુલ્ક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે,
એટલું જ નહીં મૃત્યુ પામનાર બિનવારસુ વ્યક્તિના જીવોના મોક્ષ સંસ્થા દ્વારા દર વર્ષે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે.
40 સેવાભાવી લોકો નિસ્વાર્થ ભાવે સેવા
મોક્ષ ફાઉન્ડેશનના સેવાભાવીઓ દ્વારા પોતાનુ જીવન સેવા માટે સમર્પિત કર્યુ છે. આ મામલે મોક્ષ ફાઉન્ડેશન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી વિક્રમસિંહ ઝાલાએ જણાવ્યું કે 2006માં એક બિનવારસુ મૃતદેહના અગ્નિ સંસ્કાર જોયા બાદ મને આ દિશામાં સેવા કરવાની પ્રેરણા મળી અને ત્યારબાદ આ સેવા નેમ લીધી અને રાત-દિવસ આવી સેવાકીય પ્રવૃતિ શરૂ કરી.
આજે સંસ્થામાં 40 સેવાભાવી લોકો નિસ્વાર્થ ભાવે જોડાઇ સેવા આપી રહ્યા છે. ત્યારબાદ 2006 થી માંડી અત્યાર સુધીમાં ધર્મ-જાતિના ભેદભાવ વગર 2010 બીનવારસુ મૃતદેહના અંતિમસંસ્કાર કરાયા છે.
10 જેટલા પાકિસ્તાની નાગરીકોની પણ અંતિમવિધી
અત્યાર સુધીમાં 2010 પૈકી 10 જેટલા પાકિસ્તાની નાગરીકોની પણ અંતિમવિધી આ સેવાભવિઓ દ્વારા કરવામા આવી છે. વધુમાં સંસ્થા દ્વારા દર વર્ષે ભાદરવી અમાસના દિવસે નાગેશ્વર મંદિર ખાતે શાંતિ યજ્ઞ કરવામાં આવે છે. આ ઉપરાંત વિક્રમસિંહ ઝાલાના મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા હોસ્પિટલને લગતી અનેક પ્રકારની સેવા પણ કરવામાં આવે છે. હોસ્પીટલમાં લોહીની જરૂરીયાત હોય, તે એમ્બ્યુલન્સની સેવા સહીતની કામગીરી નિસ્વાર્થભાવે સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તેઓના કોરોના કાળની સેવાને લોકો આજે પણ બિરદાવી રહ્યા છે.