કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પી લીધાનું સામે આવ્યું છે. વુલનમિલ ડિફેન્સ વિસ્તારમાં રહેતા શિપિંગ કંપનીમાં નોકરી કરતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી ચીઠ્ઠી લખી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડાયો છે.
જામનગરમાં વ્યાજખોરોનો ત્રાસ ફરી સામે આવ્યો છે. શહેરના ડિફેન્સ કોલોની વુલનમિલ વિસ્તારમાં રહેતા હિરેન જમનભાઈ પટેલ નામના 45 વર્ષીય યુવકે પોતાના ઘરે જ સવારે 11 વાગ્યા આસપાસ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હિરેનના ખિસ્સામાંથી વ્યાજખોરોના ત્રાસથી દવા પીધી હોવાના ઉલ્લેખ સાથે અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી પણ મળી છે.
કોરોનાના કપરા કાળમાં વ્યાજખોરોના ત્રાસથી દવા પીનાર જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતા હિરેનના પરિવારમાં એક અઢી વર્ષનો ધૈર્ય નામનો પુત્ર પણ છે, અને 5 થી 7 લોકો સંયુક્ત પરિવારમાં રહે છે. દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર હિરેને જરૂરિયાત મુજબ અલગ-અલગ લોકો પાસેથી સમયાંતરે વ્યાજે પૈસા લીધા હતા. અને હાલની પરિસ્થિતિમાં વ્યાજે આપનાર લોકો ઘરે આવી ત્રાસ આપતા હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે. આખરે હિરેન નામના આશાસ્પદ યુવકે વ્યાજખોરોના ત્રાસથી ચિઠ્ઠી લખી દવા પી લેતા ગંભીર હાલતમાં હાલ સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પરિવારજનો ન્યાય માંગી રહ્યા છે.