કિંજલ કારસરીયા, જામનગરઃ નથુવડલા ગામના પશુપાલકના 43 ઘેટા-બકરાઓનાં મૃત્યુ થતાં સરકાર તરફથી કૃષિમંત્રી રાઘવજી પટેલે 70,950 રૂપિયાની સહાય જાહેર કરી હતી. ત્યારે કેબિનેટ મંત્રી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકને ચેક અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી હતી.
મંત્રીએ ચેક અર્પણ કરી સાંત્વના પાઠવી
મળતી માહિતી પ્રમાણે, જામનગર જિલ્લાના નથુવડલા ગામે રહેતા પશુપાલક હઠાભાઈ કરણાભાઈ ઝાપડાનાં 41 ઘેટા અને 2 બકરા મળી 43 પુખ્ત પશુઓનું ફૂડ પોઈઝનિંગથી 14 ડિસેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. વર્ષ 2022-23 હેઠળ રોગચાળા, મહારોગચાળા સમયે મરઘાં, બતક તથા પશુધનના મૃત્યુ સામે વળતર આપવાની યોજના હેઠળ સરકાર દ્વારા 70,950 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવતા રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા પશુપાલકને ચેક અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી.
પશુપાલક તેમજ તેમના પરિવારને સાંત્વના પાઠવતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પશુપાલકોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. પશુપાલકોનું જીવનધોરણ ઊંચું આવે તેમના પશુઓને ઘાસચારો મળી રહે, રહેઠાણ મળી રહે તેમજ પશુ બીમાર હોય ત્યારે સારવાર થઈ શકે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નથુવડલા ગામના પશુપાલકના ઘેટાં-બકરાઓના ફૂડ પોઈઝનિંગથી મૃત્યુ થવાની ઘટના દુઃખદ છે. હઠાભાઈની આજીવિકા છીનવાઇ જતાં તેઓને આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા ત્વરિત 70,950 રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવી છે. પશુપાલકો, ખેડૂતો તેમજ નાનામાં નાના વ્યક્તિને પણ કઇ રીતે મદદરૂપ થવું તે દિશામાં સરકાર સતત પ્રયત્ન કરી રહી છે અને છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ મારફતે સહાય પહોંચે તે માટે સરકાર સતત કાર્યરત છે.
હઠાભાઈના ઘેટા-બકરાઓના મૃત્યુ થતાં સરકાર દ્વારા તેમણે ડીબીટીથી ત્વરિત સહાય ચૂકવવામાં આવતા તેઓએ સરકાર તેમજ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પશુપાલન વિભાગના નિયામક ફાલ્ગુનીબેન ઠક્કર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, પશુપાલન વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્ય મનસુખભાઈ ચભાડીયા, તાલુકા પ્રમુખ નવલભાઈ મૂંગરા, ગામના આગેવાનઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.