ઈન્ડિયન પ્રીમિયર લીગ એક એવો મંચ છે, જ્યાં પ્લેયરને દિલ ખોલીને પૈસા આપવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી લીગમાં ફરી એકવાર આ પ્રકારની ઘટના જોવા મળી છે. IPL 2023 મિની ઓક્શનમાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સૈમ કર્ર્ન 18.5 કરોડમાં વેચાયા છે. કેમરન ગ્રીનને રૂ. 17.5 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. તો બેન સ્ટોક્સને રૂ.16.25 કરોડ અને નિકોલસ પૂરનને રૂ.16 કરોડમાં ખરીદવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે જોવામાં આવે તો અનેક ખેલાડીઓ એવા છે, જેમને અગાઉ કરતા ઓછા પૈસામાં ખરીદવામાં આવ્યા છે.
અહીં એવા ખેલાડીઓ વિશે જાણકારી આપવામાં આવી છે, જેઓ અગાઉની સીઝનમાં કરોડોમાં રમી રહ્યા હતા. આ વખતે જોવામાં આવે તો આ ખેલાડીઓએ ખૂબ જ નુકસાન ભોગવવું પડ્યું છે. આ ખેલાડીઓને રૂ. 14 કરોડ સુધીનું નુકસાન થયું છે.
વિલિયમસનને રૂ. 12 કરોડનું નુકસાન
અગાઉની સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરનાર કેન વિલિયમસનને ભારે નુકસાન થયું છે. હૈદરાબાદે કેનને રિલીઝ કર્યો છે. હવે વિલિયમસન IPLમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે. અગાઉની સીઝનમાં તેમને રૂ. 14 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા, આ સીઝનમાં તેમને માત્ર રૂ. 2 કરોડમાં ખરીદવામાં આવ્યા છે. જેથી વિલિયમસનને રૂ. 12 કરોડનું નુકસાન થયું છે.
જેમિસનને રૂ. 14 કરોડનો ફટકો
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કાઈલ જેમિસન અગાઉની IPL સીઝનમાં રમ્યા નહોતા. તે પહેલાંની IPL સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમને રૂ. 15 કરોડમાં ખરીદ્યા હતા. ચેન્નાઈ સુપરકિંગ્સે તેમને વર્ષ 2023ની સીઝન માટે માત્ર રૂ.1 કરોડમાં ખરીદ્યા છે. જેમિસનને રૂ. 14 કરોડનો ફટકો પડ્યો છે.
રિચર્ડસનને રૂ. 12.5 કરોડનું નુકસાન
IPL 2021માં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ઝાય રિચર્ડસનની રૂ. 14 કરોડમાં ખરીદી કરવામાં આવી હતી. તેમને ઈજા પહોંચતા તેઓ મેચ રમી શક્યા નહોતા. આ કારણોસર IPL 2023માં તેમની રૂ. 1.5 કરોડમાં ખરીદી કરવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ઝાય રિચર્ડસનને પોતાની સ્ક્વોડમાં શામેલ કર્યા છે. રિચર્ડસનને અગાઉની સરખામણીએ રૂ. 12.5 કરોડનું નુકસાન થયું છે.
રોમારિયો શેફર્ડને રૂ. 7 કરોડનું નુકસાન
રોમારિયો શેફર્ડ અગાઉની IPL સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો હિસ્સો હતો. આ ખેલાડીને રૂ. 7.5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. લખનઉ સુપરજાયન્ટ્સે આ વખતે આ ખેલાડીની માત્ર રૂ. 50 લાખમાં ખરીદ્યા છે, જેથી તેને રૂ. 7 કરોડનું નુકસાન થયું છે.
મયંક અગ્રવાલ આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદમાં શામેલ થયો છે અને તેને રૂ. 8.25 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. તેમ છતાં મયંક અગ્રવાલને રૂ. 5.75 કરોડનું નુકસાન થયું છે. ગયા વર્ષે પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલની રૂ. 14 કરોડમાં ખરીદી કરી હતી અને તેઓ પંજાબ કિંગ્સના કેપ્ટન હતા.
ઓડિયન સ્મિથને રૂ. 5.50 કરોડનું નુકસાન
વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ઓડિયન સ્મિથને રૂ. 5.50 કરોડનું નુકસાન થયું છે. અગાઉની સીઝનમાં ઓડિયન સ્મિથ રૂ. 6 કરોડની પ્રાઇસ સાથે પંજાબ કિંગ્સમાં શામેલ થયા હતા. આ વખતે ગુજરાત ટાઈટન્સે ઓડિયન સ્મિથની રૂ. 50 લાખમાં ખરીદી કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર