પેટ્રોલ-ડીઝલની કિંમતોથી લઈને રાફેલ ડીલ સુધી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ પાર્ટીના હુમલા અંગે પલટવાર કરતા બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે કહ્યું કે, પાર્ટી કોઈ પણ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ માટે કોંગ્રેસે તથ્યો સાથે આવવું પડશે.
પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા અમિત શાહની વાતનો ફરી ઉલ્લેખ કરતા રક્ષા મંત્રી નિર્મલા સિતારામણે કહ્યું કે, "બીજેપી પી ચિદમ્બરમ એન્ડ કંપની સાથે ચર્ચા માટે તૈયાર છે. તેઓ અર્થવ્યવસ્થા, જીએસટી પર તથ્યો સાથે આવે."
નોંધનીય છે કે કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓ પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતો, રૂપિયાનો ગગડતા ભાવ, બેરોજગારી અને રાફેડ ડીલ વિરુદ્ધ સોમવારે ભારત બંધની તૈયારી કરી રહી છે.
સીતારમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ભાજપા બહુ ઝડપથી રાષ્ટ્રીય સ્તરે એક ચળવળ શરૂ કરશે અને એનડીએ સરકારની યોજનાઓની સફળતાની કહાની બધાને જણાવશે. ખેડૂતો, પૂર્વ સૈનિકો, ઓબીસી આયોગ, અર્થવ્યવસ્થા, જીએસટી તેમજ સિટિઝન એમેન્ડમેન્ટ બિલ 2016 માટે સરકારના કામનો પ્રચાર કરવામાં આવશે.
સીતારમણે કહ્યું, "અમે લોકોને મળીશું અને તેમને આયુષ્યમાન ભારત, એમએસપી, યૂરિયા યોજના, ઓબીસી આયોગ અને અર્થવ્યવસ્થાની વધી રહેલી ગતિ અંગે તેમને જાગૃત કરીશું."
અમિત શાહે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુકી છે, બહુ ઝડપથી આપણે બ્રિટનને પાછળ રાખી દઈશું.
નાણા મંત્રી અરુણ જેટલીએ તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે રૂપિયામાં ઘટાડાનું કારણ વૈશ્વિક છે, ઘરેલૂ નથી. તેમણે કહ્યું અન્ય દેશની કરન્સી પણ ડોલરની સામે નબળી પડી છે. ચિદમ્બરમે કહ્યું હતું કે રૂપિયા નબળો નથી પડ્યો પરંતુ ડોલર વધારે મજબૂત થયો છે.