અમદાવાદ: કોરોના મહામારીને (Corona Pandemic ) કારણે મૃત્યું પામેલા (death in Coronavirus) લોકોના પરિવારને સહાય મામલે સોમવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુજરાત સરકારની (Gujarat Government) ઝાટકણી કાઢી હતી. પરિવારોને જલદી સહાય મળે તે માટે સુપ્રીમ કોર્ટે જિલ્લાવાર સમિતિ બનાવવાનો આદેશ કર્યો હતો. જોકે, રાજ્ય સરકારે આ આદેશથી વિપરિત સ્ક્રુટિની સમિતિ બનાવતા સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. સુનાવણીમાં રજૂ કરાયેલા સુધારેલો પરિપત્ર પણ સુપ્રીમના નિર્દેશ મુજબનો ન હોવાથી કોર્ટે ફરી રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
SCએ ભૂકંપની જેમ કરવાની આપી ચિમકી
આ સાથે એવી ચિમકી પણ આપી હતી કે, સરકાર આમ જ મોડુ કરશે તો 2001ના ભૂકંપની જેમ લીગસ સર્વિસ ઓથોરિટી મારફતે આ સહાય વિતરણ કરવાનો આદેશ આપવામાં આવશે. જેમનો ડેટા સરકાર પાસે જે અને વિગતો સંપૂર્ણ છે તેમને હાલના તબક્કે 50 હજાર રૂપિયાનું વળતર આપવા કોર્ટે આદેશ કર્યો હતો. સુનાવણીમા કોર્ટે કહ્યું હતું કે, સરકારના જ આંકડા મુજબ રાજ્યમાં કોરોનાથી ઓછામાં ઓછા 10 હજાર લોકોના મોત નિપજ્યાં છે ત્યારે સહાય માટેની અરજીઓ પર શંકા અસ્થાને છે.
ખંડપીઠે સુધારેલા પરિપત્ર અંગે પણ નારાજગી વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગત્નાની ખંડપીઠે દ્વારા ગત સુનાવણીમાં ઝાટકણી બાદ રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુધારેલો પરિપત્ર રજૂ કર્યો હતો. પરંતુ ખંડપીઠે સુધારેલા પરિપત્ર અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે કહ્યુ હતુ કે, તેમાં હોસ્પિટલ સર્ટિફિકેટની જોગવાઇ છે અને કઇ હોસ્પિટલ કોવિડ મૃત્યુના સર્ટિફિકેટ આપે છે?
રાજ્ય સરકાર તરફથી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, સહાય માટે ખોટા દાવાઓ કરવામાં આવતા હોવાના કારણે આ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેની સામે ખંડપીઠે કહ્યું હતું કે, સરકારના જ ડેટા પ્રમાણે, કોરોનાને કારણે ઓછામાં ઓછા દસેક હજાર લોકોના મૃત્યુ છે તો પછી તેમાં શંકા કેમ કરવાની? આવી આશંકાના કારણે સાચા અને જરૂરિયાતમંદ લોકોને સહન કરવાનું કેમ? મૃત્યુ પ્રમાણપત્ર તો સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે તો તેમાં ચેડા કેવી રીતે થઇ શકે. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે, ખોટાં મૃત્યુ પ્રમાણપત્ર રજૂ નથી કરાતા પરંતુ ખોટાં આર.ટી.-પી.સી.આર. રિપોર્ટ રજૂ થવાની આશંકા છે. સોલિસિટર જનરલે આ અંગે સંબંધિત અધિકારીઓ સાથે બેસી નિર્ણય કરવાની ખાતરી આપી હતી. આ અંગે વધુ સુનાવણી 29મી નવેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં થયેલો સંવાદના અંશ
જસ્ટિસ શાહ : પહેલાંનો પરિપત્ર કોણે મંજૂર કર્યો હતો? કોઇકે તો જવાબદારી લેવી જોઇએ ને. સોલિસિટર જનરલ : હું જવાબદારી લઉ છું. જસ્ટિસ શાહ : તમે શા માટે જવાબદારી લો છો? સંબંધિત અધિકારીએ જ જવાબદારી લેવાની હોય, પરિપત્ર ડ્રાફ્ટ કોણે કર્યો હતો? ત્યારબાદ સોલિસિટરન જનરલે ખંડપીઠને કહ્યું હતું કે, અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ઓનલાઇન સુનાવણી જોઇન કરી છે. જેથી ખંડપીઠે તેમને સંબોધી પ્રશ્નો કર્યા હતા. જસ્ટિસ શાહઃ પરિપત્ર ડ્રાફ્ટ કોણે કર્યો હતો? તેને મંજૂરી કોણે આપી હતી ? અને આ કોના મગજની ઉપજ છે? મનોજ અગ્રવાલ : પરિપપત્રનું ડ્રાફ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને કેટલાંક અધિકારીઓ પાસે મોકલવામાં આવ્યો હતો અને અંતે સક્ષમ સત્તામંડળ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. જસ્ટિસ શાહ : સક્ષમ સત્તામંડળ એટલે કોણ? મનોજ અગ્રવાલ : સર, સક્ષમ સત્તામંડળ એટલે ટોપ-મોસ્ટ લેવલ. જસ્ટિસ શાહ : અમને જણાવો, એ કોણ છે? મનોજ અગ્રવાલ : સર, તેઓ મુખ્યમંત્રી છે. જસ્ટિસ શાહ : તમારાં મુખ્યમંત્રીને કંઇ ખબર જ નથી? મિસ્ટર સેક્રેટરી, તમારું ત્યાં કામ શું છે? જો આ જ તમારી નિર્ણયક્ષમતા હોય તો તમને કંઇ ખબર જ નથી. આ બીજું કંઇ નહીં પરંતુ બાબુશાહી દ્વારા થતો વિલંબના પ્રયત્નો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર