અમદાવાદ : મોંઘવારીના (Inflation)માર વચ્ચે વધુ એક માઠા સમાચાર છે. પેટ્રોલમાં (petrol price)80 પૈસા અને ડીઝલમાં (diesel price)84 પૈસાનો વધારો થયો છે. એટલે અમદાવાદમાં પેટ્રોલના (Ahmedabad petrol price)ભાવ 95.93 રૂપિયા થયો છે જ્યારે ડીઝલનો નવો ભાવ 89.96 રૂપિયા થયો છે. પરંતુ રિટેલ કરતા જથ્થાબંધ ડીઝલ લેવામાં આવે તો લિટરે 110 રૂપિયામાં પડે છે. એસટી નિગમ દ્વારા કંપની પાસેથી સીધું જથ્થાબંધમાં ડીઝલ મંગાવતા હતા. પરંતુ રિટલ કરતા બલ્કમાં ભાવ વધારે હોવાના કારણે હવે એસટી નિગમે ખાનગી પેટ્રોલ પંપ પર જ ડીઝલ ભરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.
એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે એસટી નિગમના 7 હજારથી વધુ વાહનો ચાલે છે. જેના માટે નિગમ કંપની પાસેથી સીધું બલ્કમાં જ ડીઝલની ખરીદી કરતા હતા. એસટી નિગમને રોજનું 5 કરોડ રૂપિયાનું ડીઝલ જોઈએ છે. ડીઝલના બલ્કમાં ખરીદી પર ભાવ વધારો કરવામાં આવ્યો છે અને બલ્કમાં ડીઝલ લેવામાં આવે તો 110 રૂપિયા લીટર પડે. જે રિટલ ભાવ કરતા 21 રૂ વધુ દેવા પડે અને એસટીને નુકસાન થાય. જેને લઈ ખાનગી પંપ પર જ ડીઝલ ભરાવવા માટે નિર્ણય કરાયો છે. ખાનગી પંપ પરથી ડીઝલ પૂરતું આવે અને શુદ્ધ આવે તેની પણ તકેદારી રાખવામાં આવશે.
એસટી નિગમના ઇનટુકના મહામંત્રી ધીરેન્દ્રસિંહ સોલંકીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે એસટી નિગમના યુનિયન દ્વારા નિગમના અધિકારીને લેટર લખવામાં આવ્યો છે. કંપનીઓ પાસેથી ડીઝલ ખરીદે તો શુદ્ધ ડીઝલ મળશે. છૂટકમાં ડીઝલ ખરીદશે તો ઓછું ડીઝલ આવશે અને ગેરરીતી ફરિયાદ ડ્રાઇવર પર થશે. એટલે નિગમને ફાયદો થવાના બદલે નુકશાન થવાની શંકા વ્યક્ત કરી છે. અને જો રોડ પર બસ ડીઝલ પુરાવવા જશે અને ટ્રાફિકમાં સમય કરતાં વધારે બસ ઉભી રહેશે તો કંડકટર અને પ્રવાસીઓ વચ્ચે ઘર્ષણ થશે. ત્યારે યુનિયને અપીલ કરી છે નિગમ સેવા માટે છે. ટિકિટના ભાવ વધારો છેલ્લા કેટલાય વર્ષથી કરવામાં આવ્યો નથી. ત્યારે ડીઝલના બલ્કમાં ખરીદી પર ભાવ વધારો કર્યો છે તેમાં એસટી નિગમને રાહત આપવી જોઈએ.