ભરતસિંહ વાઢેર, સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli)આરોગ્ય વિભાગ (Department of Health)દ્વારા પ્રદેશનાં નરોલીમાંથી નકલી પનીર (Fake cheese)બનાવવાનું એક મસમોટું કૌભાંડ (Scam)ઝડપી પાડ્યું છે. આરોગ્ય વિભાગ અને પોલીસની (Police)સંયુક્ત કાર્યવાહી દરમ્યાન તપાસ ટીમ દ્વારા સ્થળ પરથી 400 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ નકલી પનીર બનાવવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા રામબરન વર્મા નામમાં એક આરોપીની પણ ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. પોલીસ અને આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.
બનાવની વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પનીરનું વેચાણ વધી રહ્યું હતું. સસ્તા ભાવે પ્રદેશની ડેરીઓમાં મોટા જથ્થામાં પનીરનો જથ્થો પહોંચી રહ્યો હોવાની જાણ આરોગ્ય વિભાગને થઈ હતી. સસ્તા ભાવે મોટા પ્રમાણમાં પનીર મળી રહ્યું હોવાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા વિષયને ગંભીરતાથી લઇ આ સંદર્ભે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે મળેલી બાતમીના આધારે નરોલી બોરલાઈ રોડ પર આવેલા એક મકાનમાં પોલીસને સાથે રાખી રેડ કરી હતી. રેડ દરમિયાન મકાનમાં મશીનરી ફીટ કરી અને તેના દ્વારા નકલી પનીર બનાવવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમ્યાન સ્થળ પરથી રામબરન વર્મા નામનો મુખ્ય સૂત્રધાર પણ ઝડપાઈ ગયો હતો. પોલીસે ઝડપાયેલા નકલી પનીરના સેમ્પલ લઇ અને તેને તપાસ માટે મોકલ્યા છે. ટીમ દ્વારા સ્થળ પરથી 400 કિલોથી વધુનો નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. નકલી પનીર અને મશીનરી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ આરોગ્ય વિભાગે જપ્ત કર્યો છે. સાથે જ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રામબરન વર્મા નામના આરોપીની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જગ્યા પર દર મહિને અંદાજે 15 હજાર કિલોથી વધુ મસમોટો નકલી પનીરનો જથ્થો બનાવવામાં આવતો હતો. આ નકલી પનીર બનાવવા માટે કૌભાંડીઓ ઝીરો ફેટનું દૂધ વાપરતા હતા અને ઝીરો ફેટના દૂધમાં તેઓ પામ ઓઇલ અને કપાસિયા તેલ સહિત ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો પણ ઉપયોગ કરતા હતા. સસ્તા ભાવે નકલી પનીર બનાવી કૌભાંડીઓ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરીઓમાં સપ્લાય કરતા હતા. આથી છેલ્લા કેટલાક સમયથી પ્રદેશની ડેરીઓમાં મોટા પ્રમાણમાં પનીર વેચાઈ રહ્યું હતું. જેની જાણ અને શંકા થતાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી અને તેમાંથી આ મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે.
આરોગ્ય વિભાગે પોતાના ફૂડ એન્ડ ડ્રગ્સના કાયદાની તો કાર્યવાહી હાથ ધરી છે પરંતુ મોટા પ્રમાણમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા આ ભેળસેળિયા કૌભાંડી તત્વોને સબક શીખવવા આરોગ્ય વિભાગે આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. આ કેસમાં આરોપીઓ સામે આઈપીસીની કલમ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.