Home /News /gujarat /આદિવાસી દિવસ પર જાણો કોણ છે ક્રાંતિકારી બિરસા મુંડા, જેમના નામ પર રાજપીપળામાં બનશે યુનિવર્સિટી

આદિવાસી દિવસ પર જાણો કોણ છે ક્રાંતિકારી બિરસા મુંડા, જેમના નામ પર રાજપીપળામાં બનશે યુનિવર્સિટી

ફાઇલ તસવીર

જે આદિવાસી દિવસ પર આવા જ એક આદિવાસી નાયક બિરસા મુંડાને જાણીએ.

    પ્રવિણ પ્રજાપતી, અમદાવાદ: જંગલ સાથે જેમની જીવનની ધોરી નશ સંકળાયેલી છે એ આદિવાસીઓ આમ તો જંગલના છોરુ તરીકે ઓળખાય છે.આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત માનવામા આવે છે.દેશમાં આદિવાસીઓની વસ્તી 8 ટકાથી વધુ છે.આદિવાસીઓની સંસ્કૃત્તિ અને પરંપરા અલગ અને વિવિધતાથી ભરપૂર છે.આઝાદી પહેલાથી જ આદિવાસી સમાજમાં રાષ્ટ્રભક્તિ રહેલી છે. અંગ્રેજો અને મોગલો સામે શહીદી વ્હોરી લેનાર અનેક લોકો થયા.સોમનાથ મંદિરની વેગડા ભીલની વિરતા,મહિસાગરના માનગઢના ગુરુગોવિંદના નેતૃત્વમાં 1600 આદિવાસીઓની શહીદી,તાત્યાભીલ,રુપા નાયક જેવા અનેક આદિવાસી વીરોએ શહીદી વ્હોરી છે. ડાંગના રાજાઓ અંગ્રજો સામે લડ્યા હતા.ઇતિહાસના પાના પર અનેક  આદિવાસી કાંતિવીરોની કુરબાનીની ગાથા છે.જોકે આવા વીર સપૂતોની કોઈ ખાસ નોંધ લેવાઈ નથી.ત્યારે આજે આદિવાસી દિવસ પર આવા જ એક આદિવાસી નાયક બિરસા મુંડાને જાણીએ.  નોંધનીય છે કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આજે નર્મદા જિલ્લાના રાજપીપળામાં જીતનગર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં CM રૂપાણીના હસ્તે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

    કોણ હતા બિરસા મુંડા

    બિરસા મુંડાનો જન્મ 1875માં છોટાનાગપુરમાં થયો હતો જે આજે ઝારખંડનો એક જિલ્લો છે.25 વર્ષના તેમના જીવનની કહાણી સંઘર્ષભરી હતી..બિરસાએ સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું.અને બાદમાં તેઓ ચાઈબાસાની અગ્રેજી માધ્યમ સ્કૂલમં અભ્યાસ માટે ગયા..જોકે પહેલાથી જ આદિવાસી સમાજની ચિંતા કરતાં બિરસા અંગ્રેજોએ કરેલા દમનથી વ્યાકુળ હતા.મુંડાએ પોતાના લોકોને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળે તે માટે નેતૃત્વ પ્રદાન કર્યુ.

    ફાઇલ તસવીર


    1894માં છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ આ કપરા સમયમાં સેવાની ધુણી ધખાવી અને લોકોની ખુબ સેવા કરી. સેવા યજ્ઞ અને અંગ્રેજોની ચુંગાલમાંથી આદિવાસીઓને મુક્ત કરાવવાની નેમ સાથે બિરસાએ આદિવાસી યુવાનોને સાથે રાખીને અંગ્રેજો સામે રણશિગુ ફુક્યું. જોકે, અંગ્રજોએ બિરસા અને તેમના સાથીઓની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.પણ બિરસાએ જગાવેલી અલખ આંધી બની ગઈ હતી. દુષ્કાળ પિડીત જનતાની સેવાથી બિરસા હવે આદિવાસીઓના મસીહા બની ગયા હતા.અને તેથી જ તેમને વિસ્તારના લોકો ધરતી બાબા તરીકે બોલાવતા અને પૂજતાં થયા.અને આદિવાસીઓને હવે સાચી દિશા મળી અને તેમના નેતૃત્વમાં આદિવાસીઓ એકત્ર  અને સંગઠિત થયા.

    વાઘોડિયા: પ્રેમિકાનો સેંથો પૂરી, મંગળસૂત્ર પહેરાવી, પ્રેમી-પંખીડાએ ટૂંકાવ્યું જીવન

    સામાન્ય વ્યક્તિ કેવી રીતે બન્યા આદિવાસીઓના નાયક?

    એક સામાન્ય પરિવારમાંથી આવતાં બિરસા હવે આદિવાસીઓના નાયક બની ગયા હતા.બાળપણમાં જંગલમાં ઘેટા બકરા ચરાવતા બિરસા હવે અંગ્રજોના દાંત ખાટા કરી રહ્યા હતા.1890થી1900 દરમિયાન અંગ્રેજો અને બિરસા વચ્ચે અનેક લડાઇઓ થઈ. બિરસા અને તેમના સાથીઓએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો.અંગ્રેજોની ગોળીઓ સામે બિરસાની સેનાના તીર કામઠા ભારે પડી રહ્યા હતા. અંગ્રેજોના ઠેકાણાઓ પર તીરોનો વરસાદ કરી અંગ્રેજોને પાછા હટવા મજબૂર કરી દીધા હતા.અંગ્રેજોના ખૂંટી થાણા પર થયેલો તીરોનો વરસાદ આજે પણ મોટા આક્રમણ તરીકે યાદ કરાય છે.જેમાં ચારસો આદિવાસી યુવાનોએ અંગ્રેજોના દાંત ખાટા કરી નાંખ્યા હતા.

    1898માં તાંગા નદીના કિનારે થયેલી લડાઈમાં અંગ્રેજ સેનાની હાર થઈ.  જોકે ત્યાર બાદ અનેક આદિવાસીઓની ધરપકડ થઈ અને બાદમાં થયેલા સંઘર્ષઓમાં અનેક આદિવાસીઓ શહીદ થયા.બાદમાં ચક્રધરપુરમાં બિરસાએ જાતે જ ધરપકડ વ્હોરી..જોકે થોડા સમય બાદ કારાગારમાં જ તેમનું રહસ્યમય રીતે મોત થયું.

    બિરસાને સન્માન

    આદિવાસીઓ બિરસાને ભગવાનની જેમ પૂજે છે. ભારતીય સેના પણ આદિવાસીઓના આ મહાન સપૂતને વંદન કરે છે અને બિહાર રેજિમેન્ટમાં પ્રથમ જય બજરંગ બલી  અને પછી બિરસા મુ્ડાની જય બોલાવાય છે. બિરસાની સ્મૃત્તિમાં ભારત સરકારે 1988માં ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે.ઝારખંડની રાજધાની રાંચીમાં ઍરપોર્ટ અને કેન્દ્રીય જેલનું નામ બિરસા મુંડાના નામ પર જ રાખવામાં આવ્યું છે. મહત્તવનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આજે નર્મદા જિલ્લાના રાજપીપળામાં જીતનગર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં CM રૂપાણીના હસ્તે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Adivasi day, History, On this day, Rajpipla