સુરત : કોરોના વાયરસ વૃદ્ધો પર વધુ અસર કરે છે. સુરતના 95 વર્ષીય અરજણ દાદા તેજાણી પણ કોરોના સંક્રમિત થયા હતા. સિવિલ હોસ્પિટલમાં 29 દિવસની સારવાર બાદ કોરોના સામે વિજય મેળવ્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભીમરાડ ગામના વતની અરજણદાદા પરિવાર સાથે મોટા વરાછા ખાતે રહે છે. સ્વસ્થ થઈને ઘરે પરત ફરતાં તેઓને જોઈને અવશ્ય કહી શકાય કે સમયસર સારવાર અને દૃઢ મનોબળ હોય તો કોરોનાને પણ હાર સ્વીકારવી પડે છે.
તેઓ બીજુ વિશ્વયુદ્ધ, આઝાદીની લડાઈ, છપ્પનીયો દુષ્કાળ જેવી અનેક ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહ્યાં છે. નવી સિવિલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડો. પ્રિયંકા પટેલે જણાવ્યું હતું કે અરજણદાદા તેજાણીને 8 ઓગસ્ટે તાવ, ઉધરસ સાથે શારીરિક નબળાઈ જણાતા હિરાબાગ નજીક વલ્લભાચાર્ય કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 9 ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને 80 ટકા જેટલું થઈ ગયું હતું અને અર્ધબેભાન હાલતમાં હતા.
અરજણદાદાને અન્ય કોઈ બિમારી ન હોવાથી કોવિડ વોર્ડમાં શિફ્ટ કરીને 15 લીટર ઓક્સિજન પર સારવાર ચાલુ કરી હતી. તેમની વયોવૃદ્ધ ઉંમરના કારણે તેમને સતત ઓક્સિજનની જરૂર રહી અને પ્રવાહી આહાર જ આપવામાં આવતો હતો. દાદાની ઝિંદાદિલી અને તબીબોની સારવારથી 20 દિવસ સતત ઓક્સિજન પર રહ્યા બાદ તંદુરસ્ત થયા છે. વોર્ડના સૌથી સિનિયર દર્દી અરજણદાદાએ કોરોના સામેની લડાઈમાં જીત મેળવી હતી.
" isDesktop="true" id="1023334" >
પૌત્ર દીપકભાઈ તેજાણીએ જણાવ્યું હતું કે દાદાએ પોતાની જિંદગીના 60 વર્ષથી પણ વધારે વર્ષ ખેતી કરી છે. ખેતીની સખત મહેનત અને ગ્રામ્યજીવનના શુદ્ધ વાતાવરણ તેમજ દેશી ખોરાકના કારણે આટલી ઉંમરમાં તેઓને એક દિવસ પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું નથી. મહેનતકશ જીવન જીવનાર આ દાદાની યુવાનોને શરમાવે તેવી તંદુરસ્તી રહી છે.