મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના જ વિભાગનું કૌભાંડ પકડ્યું
મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના જ વિભાગનું કૌભાંડ પકડ્યું
આ કેસની સીધી ફરિયાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (CR Patil)કરી હતી અને મહેસૂલ મંત્રીને પગલાં લેવાની ભલામણ કરી હતી
Scam news- નવસારી જિલ્લાના ખુંધ તેમજ અલીપુર ગામની જમીનમાં 10 કરોડ રૂપિયાનું સંપાદન વળતર મૂળ જમીન માલિકને મળવાની જગ્યાએ કૌભાંડિયા અને વચેટીયા તત્વો તેમજ જમીન સંપાદન અધિકારીઓ ચાંઉ કરી ગયા
ગાંધીનગર : અમદાવાદ-વડોદરા-મુંબઇના એક્સપ્રેસ હાઇવેમાં મોટું કૌભાંડ (Scam)બહાર આવ્યું છે. વડોદરાથી દક્ષિણ ગુજરાતમાં (South Gujarat)પસાર થતાં હાઇવે માટે નવસારી જિલ્લાના ખુંધ તેમજ અલીપુર ગામની જમીનમાં 10 કરોડ રૂપિયાનું સંપાદન વળતર મૂળ જમીન માલિકને મળવાની જગ્યાએ કૌભાંડિયા અને વચેટીયા તત્વો તેમજ જમીન સંપાદન અધિકારીઓ ચાંઉ કરી ગયા છે. આ જમીન કૌભાંડનો પર્દાફાશ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Gujarat Revenue Minister Rajendra Trivedi)કર્યો છે. તેમણે આ કિસ્સાની તપાસ શરૂ કરી છે જેમાં 10 થી 12 કરોડ રૂપિયાનું જમીન સંપાદન વળતર બારોબાર ખવાઇ ગયું છે અને મૂળ જમીન માલિકને મળ્યું નથી. સરકારના આદેશને પગલે ચીખલી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની સીધી ફરિયાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (CR Patil)કરી હતી અને મહેસૂલ મંત્રીને પગલાં લેવાની ભલામણ કરી હતી.
નવસારી જિલ્લાના જમીન સંપાદન સાથે સંકળાયેલા મહેસુલી અધિકારીઓની સંડોવણી
સમગ્ર પ્રકરણમાં નવસારી જિલ્લાના જમીન સંપાદન સાથે સંકળાયેલા મહેસુલી અધિકારીઓની સંડોવણી પણ સ્પષ્ટ રીતે બહાર આવી છે. જેના પગલે સિનીયર અધિકારીઓની ફરજ પ્રત્યે બેદરકારી તેમજ કૌભાંમાં સંડોવણીના આરોપસર ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. નવસારીના ખેડૂત દિપક ઠાકોરભાઈ પટેલ દ્વારા ખુંધ તથા અલીપુરમાં થયેલા વળતર કૌભાંડની લેખિત ફરિયાદ મહેસુલ મંત્રી સમક્ષ કરાઈ હતી. નવસારીના ખુંધ તથા અલીપુરની અલગ અલગ સર્વે નંબરની 12 જેટલી જમીનના કિસ્સામાં મૂળ જમીન માલિકોના સ્થાને તેમના જ નકલી પાવર ઓફ એર્ટની બનાવીને તેજમ બેંક ખાતની ડિટેઈલ આપીને અંદાજિત 10 થી 12 કરોડની વળતરની રકમ જમીન માફિયાઓ, વકીલ તથા મહેસૂલ વિભાગના સંપાદનની કાર્યવાહી સાથે સકળાયેવા નવસારીના અધિકારીઓની મીલીભગતના કારણે બારોબાર ઉચાપત થઈ જવા પામી છે. આ કૌભાંડની ફરિયાદ સીધી ગાંધીનગરમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મળી હતી.
નકલી ખેડૂતને તેનું એકાઉન્ટ ઉપયોગ કરવા દેવા સામે ચાર લાખ અપાયા
એક કિસ્સામાં તો દક્ષિણ આફ્રિકાના ખેડૂતનો નકલી પાવર ઓફ એટર્ની પણ સંપાદનનું વળતર મેળવવા માટે સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરાયો હતો. અલબત્ત આ નકલી દસ્તાવેજો ચકાસ્યા વગર તેનું વળતર નકલી ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ થઈ ગયુ અને તેને કૌભાંડી તત્વોએ બેંકમાથી ઉપાડી પણ લીધુ છે. જયારે નકલી ખેડૂતને તેનું એકાઉન્ટ ઉપયોગ કરવા દેવા સામે ચાર લાખ અપાયા હોવાની વિગતો સામે આવી છે. ચીખલી ખાતે નોંધાયેલી ફરિયાદમાં આરોપીઓ તરીકે (1) ઈલ્યાશ ઈસ્માઈલ મુલ્લા રહે. આલીપોર - નવસારી (2) શાહજહા ગુલાબનબી મન્સુરી - રહે આલીપોર - નવસારી (3) એટવોકેડ એ એ શેખ ન્યૂ રાંદેર રોડ , સુરત (4) જફર એ શેખ એડવોકેટ ન્યૂ રાંદેર રોડ સુરત , (5) ઈદ્રીશ અબ્દુલ રહીમ શેખ રહે. ડાભેલ નવસારીને દર્શાવવામા આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓમાં મહેસુલી અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે. આ સમગ્ર જમીન સંપાદન વળતર કૌભાંડ ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2022 દરમ્યાન આચરવામા આવ્યું છે.
પોલીસ ફરિયાદ ફાતમાબેન માયાત દ્વારા આપવામા આવી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે વડોદરા-મુંબઇ એકસપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન બાદ નવસારી જિલ્લામાં ખુંધ તથા આલીપોર ગામની જમીન સંપાદિત થયા બાદ તેનું વળતર મેળવવા માટે કૌભાંડકારોએ મેળપીપણામાં મૂળ ખેડૂતોના નકલી પાવર ઓફ એર્ટની રજૂ કરીને વળતર ખોટા બેંક એકાઉન્ટની વિગતો આપીને તેમાં વળતરનો ચેક મેળવીને-જમા કરાવીને રકમ ચાઉં કરી દેવામાં આવી છે. જે કેસમા ફરિયાદ દાખલ કરાઈ છે, તેમાં જ દોઢ કરોડનું વળતર ખાઈ જવામાં આવ્યુ છે. મહેસુલ વિભાગ દ્વારા કરાયેલી તપાસમાં 12 જેટલી ફરિયાદો થઈ છે, જેના પગલે રાજય સરકારે આ તમામ 12 કિસ્સામાં અલગ અલગ ફરિયાદ દાખલ કરવા જણાવ્યુ છે. આ ઉપરાંત જે કોઈ જવાબદાર આરોપીઓ તથા મહેસુલી અધિકારીઓ સંડોવાયેલા હોય તો તેઓની પણ ધરપકડ કરવા આદેશ કર્યા છે.
" હું રાજયમાં મહેસુલી અધિકારીઓને અપીલ કરૂં છું કે તમે ખોટુ ના કરશો, ખેડૂતો કે અરજદારોને કોઈ તકલીફ ના આપશો , જો આપશો તો તમારે પણ તકલીફમાં મૂકાવવું પડશે. એટલું જ નહીં , ખોટું કરનારા મહેસુલી અધિકારીઓ સામે આકરા પગલે લેવાશે. આજે જ હું ભૂપેન્દ્ર પટેલને મળ્યો હતો તેમજ સમગ્ર કૌભાંડની વિગતો મેં તેમને આપી છે. પ્રાથમિક તબક્કે નવસારીમાં જે મહેસુલી અધિકારીઓની સંડોવણી માલુમ પડી છે. તે અધિકારીઓ તથા તેમના તાબાના અધિકારીઓની બદલી ત્વરીત કરાશે. એટલું જ નહીં જે અધિકારીઓની સંડોવણી ખુલશે, તેમની ધરપકડ કરાશે. અમદાવાદના કિસ્સાની તપાસ એસીબી કરશે.
મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ સ્થિત પોલિટેકનિકમાં સ્ટેમ્પડ્યુટી વિભાગની આવેલી ઓફિસના તત્કાલિન ડેપ્યુટી કલેક્ટર કેકે શાહ સામેની તપાસ હવે એન્ટી કરપ્શન બ્યુરોને સોંપી દેવામાં આવી છે. આ ડેપ્યુટી કલેક્ટરની ઓફિસમાં બહારની કોઇ વ્યક્તિ બેસીને વહીવટ કરતી હતી તે હકીકત પણ તપાસમાં બહાર આવી છે. આ જાત તપાસની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર