ગાંધીનગર : દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં ખેડૂતોને સંબોધન કરવાના છે. 25 ડિસેમ્બરે સમગ્ર દેશમાં ભાજપ સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ સુશાસન દિવસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરવાના છે. ત્યારે પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક બોલવવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા ભાજપા પ્રમુખ /મહામંત્રીઓ, જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઇન્ચાર્જઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. સી આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરના સુશાસન દિવસે વૈશ્વિક નેતા અને જન નાયક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અટલજીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત તે જ દિવસે બપોરે 12 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અભૂતપૂર્વ અને ઐતિહાસિક કૃષિ સહાય રૂપે "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ" યોજના હેઠળ નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા કરાવવામાં આવશે.
આ પણ વાંચો - કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ભારતે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો
સી આર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર અંત્યોદયના લક્ષ્ય સાથે ગરીબો તેમજ ખેડૂતો પ્રત્યે સમર્પિત છે. આ માટે તમામ વર્તમાન અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ, સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓ એક સાથે ગુજરાતના પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારમાં પહોંચીને કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારની ગરીબો અને ખેડૂત હિતકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડે તે ઇચ્છનીય છે.
આ ઉપરાંત 25 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 12 કલાકે ખેડૂતહિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વના સંદર્ભમાં યોજાનાર સંબોધનનો લાભ લોકોને મહત્તમ રીતે મળે તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સમગ્ર ભાજપા સંગઠનને તેઓએ અપીલ કરી હતી. સી આર પાટીલે પેજ કમિટીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ભાજપા સંગઠન દ્વારા પેજ કમિટીની કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. આ માટે તેઓએ તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત આ કામગીરીમાં જુદા- જુદા વ્યવસાય સાથે સંકળાયેલા સમાજના પ્રતિષ્ઠિત લોકોને પણ સામેલ કરીને પેજ કમિટીની રચના કરવા સૂચન કર્યું હતું.
સી આર પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા કેન્દ્રીયમંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ પણ પેજ કમિટીની કામગીરી પૂર્ણ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું આ તબક્કે આ સર્વે મહાનુભાવોનો હાર્દિક આભાર માનું છું.