ગાંધીનગર: રામનવમીએ (Ram Navmi) હિંમતનગર (Himmatnagar) અને ખંભાતમાં (Khambhat) થયેલા પથ્થરમારાને (stone pelting) લઈને ગાંધીનગરમાં (Gandhinagar) મોડીરાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પોલીસના ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં ગૃહમંત્રીએ પોલીસ અધિકારીઓ પાસેથી રાજ્યની હિંસા અંગેની વર્તમાન સ્થિતિ અંગે તાગ મેળવ્યા હતો. આ સાથે તેેમણે કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થતિ જાળવવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા.
આણંદના ખંભાત અને હિંમતનગરમાં બનેલા બનાવ પગલે મોડીરાત્રે ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ DGP આશિષ ભાટિયા, IBના ચોગ અનુપમ ગેહલોત, લો એન્ડ ઓર્ડર ચીફ સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં આણંદ અને હિંમતનગરથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. 1 કલાક જેટલું ચાલેલી આ બેઠકમાં હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ પાસેથી આ બનાવ કઈ રીતે બન્યા, બંદોબસ્ત કઇ રીતનો હતો અને આગળ આ પ્રકારની ઘટના ન બને તે માટે ક્યાં પ્રકારનું આયોજન છે તે અંગે ચર્ચા કરી હતી.
DGP આશિષ ભાટિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે, હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉન્ડઅપ કર્યા છે. ખંભાતમાં પણ રાયોટિંગનો તેમજ હત્યાનો ગુનો દાખલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે આ બનાવના પગલે હિંમતનગરમાં 2 RAF અને 4 SRPની ટુકડી બનાવ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવી છે. જોકે, આ સિવાય રેન્જ આઇ જી, ડી આઇ જી અને એસપી કક્ષાના અધિકારીઓના સુપર વિઝન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બનાવ દરમિયાન ખંભાતમાં એક વ્યક્તિનું મોત થયું છે તે અંગે પોલીસે મર્ડરનો ગુનો પણ દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે.
સોશિયલ મીડિયા પર લોકો ઉશ્કેરણીજનક પોસ્ટ કરે તો તેમની સામે કાર્યવાહી કરવા માટે સાયબર ક્રાઇમની ટીમ સતત વોચ રાખી રહી છે અને તેમની સામે ગુનો પણ નોંધશે. આમ રાજ્યમાં બે સ્થળોએ બનેલા બનાવના પગલે તાબડતોડ ગાંધીનગર ખાતે ગૃહરાજ્યમંત્રી બેઠક બોલાવીને આ પ્રકારના બનાવ અટકે તે માટેની કડક સૂચના આપી છે અને પોલીસને પણ એલર્ટ રહેવા માટે કહ્યું છે.
ખંભાતનાં શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાનાં વિરોધમાં આજે ખંભાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. પથ્થરમારાની ઘટનામાં DYSP, ત્રણ જેટલા પોલીસકર્મી, 1 યુવક અને ત્રણ મહિલાને ઈજા થઈ છે. 7 લારી અને 3 દુકાનોમાં આગ લગાવાઈ હતી. આ સાથે સાબરકાંઠા - હિંમતનગરમાં છાપરિયા વિસ્તારમાં રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ અરવલ્લી અને મહેસાણા પોલીસ બોલાવાઈ સાથે જ SRPની એક ટુકડી તૈનાત કરાઈ છે. પથ્થરમારામાં એસપી સહિત 8થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસીન 4 ગાડીને નુકસાન, 5થી વધુ વાહનો આગચંપી, 10થી વધુ વાહનોમાં તોડફોડ, કારના શો રૂમમાં આગ લગાવાઈ હતી. 4થી 5 દુકાનોમાં આગચંપી અને તોડફોડ કરાઈ છે. આજે સ્થિતિ વધુ વણસે તેવી સંભાવના છે. આ સાથે હિંમતનગરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.