ગાંધીનગર: મહાત્મા મંદિરમાં (Mahatma Mandir, Gandhinagar) આયોજીત ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું (Global Ayush Investment and Innovation Summit 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી, WHOના મહાનિદેશક, રાજ્યનાં સીએમ પણ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધનની શરૂઆત, 'કેમ છો' બોલીને કરી હતી.
'આયુર્વેદિક દવાઓએ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારી'
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે, આપણે ઘણી વાર જોયું છે કે, વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે રોકાણ સમિટ યોજાતી હોય છે. પરંતુ આયુષ ક્ષેત્ર માટે આ પ્રકારની સમિટ પ્રથમ વખત યોજાઈ રહી છે. આવા રોકાણ સમિટનો વિચાર મને એવા સમયે આવ્યો જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે હલચલ મચી ગઈ હતી. આપણે બધા જોયુ કે, કેવી રીતે આયુર્વેદિક દવાઓ, આયુષ ઉકાળો અને આવા ઘણા ઉત્પાદનો લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી રહ્યા હતા.
'આયુષના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની શક્યતાઓ અમર્યાદિત છે'
પીએમ મોદીએ આગળ જણાવ્યુ કે, આયુષના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની શક્યતાઓ અમર્યાદિત છે. અમે પહેલેથી જ આયુષ દવાઓ, પૂરક અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વૃદ્ધિના સાક્ષી છીએ. 2014 માં, જ્યાં આયુષ ક્ષેત્ર $3 બિલિયનથી ઓછું હતું. આજે તે વધીને $18 બિલિયનથી પણ વધુ થઈ ગઈ છે. આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે ઘણા મોટા પગલા લીધા છે. થોડા દિવસો પહેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ દ્વારા વિકસિત ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતમાં સ્ટાર્ટઅપનો સુવર્ણ યુગ શરૂ થયો છે. એક રીતે જોઈએ તો ભારતમાં આજે યુનિકોર્નનો યુગ છે. વર્ષ 2022માં જ અત્યાર સુધીમાં ભારતના 14 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. મને ખાતરી છે કે, ખૂબ જ ટૂંક સમયમાં આયુષ સ્ટાર્ટઅપ્સ પણ યુનિકોર્ન તરીકે ઉભરી આવશે.
'ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી દાખલ કરવા જઈ રહ્યું છે'
પીએમ મોદીએ આગળ જણાવ્યુ કે, FSSAIએ ગયા અઠવાડિયે તેના નિયમોમાં 'આયુષ આહર' નામની નવી શ્રેણીની પણ જાહેરાત કરી છે. આ હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા આપશે. આ સાથે તેમણે મહત્ત્વની જાહેરાત કરી છે કે, આયુષ ઉપચારનો લાભ લેવા ભારત આવવા માંગતા વિદેશી નાગરિકો માટે સરકાર વધુ એક પહેલ કરી રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં, ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી દાખલ કરવા જઈ રહ્યું છે. આનાથી લોકોને આયુષ ઉપચાર માટે ભારતની મુસાફરી કરવાની સુવિધા મળશે.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022 નું ઉદ્ઘાટન. સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર https://t.co/SzvsUUwejq
નોંધનીય છે કે, ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવશે. આ સંમેનલમાં લગભગ 90 ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો ભાગ લેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર