આનંદ જયસ્વાલ, પાલનપુર : બનાસકાંઠાના મગરવાડા ગામે ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવવામાં આવે છે. જેમાં રાજપૂત સમાજના લોકો હોળીની રાખથી ધૂળેટી રમે છે. આ પછી સાંજે બે યુવાનો સ્ત્રીનો પહેરવેશ ધારણ કરી વર અને વહુ બની ગામમાં વરઘોડો કાઢવામાં આવે છે. ત્યારબાદ ભૈરવદાદાના મંદિરે ધૂળેટીની પૂર્ણાહૂતી કરવામાં આવે છે.
વડગામ તાલુકાનું મગરવાડા ગામ માણીભદ્ર વીરદાદાના મંદિરથી પ્રચલિત છે. મોગરવાડા ગામે રાજપુત સમાજ દ્વારા કરવઠાના ભાગ રૂપે વર્ષો જૂની પરંપરાગત રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે. હોળીના દિવસે હોળીકા દહન કરવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે રાજપુત સમાજ દ્વારા ધુળેટીની સાંજે હોળીની રાખમાં પાણી નાખી કાદવ કરવામાં આવે છે અને તેમાં રાજપુત સમાજના યુવાનો મનમુકીને ધૂળેટી રમે છે. એકબીજાને આ રાખનો કાદવ લગાવી ઉજવણી ધૂળેટી મનાવાય છે.
આ પછી પરંપરાગત રીતે બે યુવાનો વર અને વહુનો પહેરવેશ ધારણ કરે છે. ગામમાં વરઘોડો કાઢવામાં આવે છે. જેમાં વરરાજાના માથા ઉપર મટકાનુ કોઠલો, ગળામાં છાણાં અને ચંપલની માળા હોય છે. જેને જોવા માટે આજુબાજુના ગામલોકો પણ ધૂળેટીની આતુરતાથી રાહ જોતા હોય છે. આ પછી ઢોલ નગારા સાથે નીકળેલ વરઘોડો ગામના ભૈરવદાદાના મંદિરે પહોંચે છે. ત્યાં બહેનો ગરબાની રમઝટ બોલાવી પરંપરાગત ધૂળેટીની ઉજવણી કરી પૂર્ણાહુતી કરે છે. આ પરંપરા વર્ષો જૂની ચાલી આવે છે અને આજે પણ રાજપુત સમાજ દ્વારા આ પરંપરાને અપનાવી ધૂળેટી રમે છે. જે અનોખું આકર્ષણ જમાવટ આજુબાજુના ગામના લોકો પણ જોવા ઉમટે છે.