ગુજરાતમાં (Gujarat) કોરોનાની બીજી લહેર (corona second wave) ઘણી જ ઘાતક બની છે. હાલ મે મહિનામાં કોરોનાની કથડતી સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરંતુ ગત મહિનામાં કોરોનાએ રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો. લોકોએ સારવારથી માંડીને કોરોનાનાં દર્દીઓનાં અંતિમસંસ્કાર માટે કલાકોની કતારમાં ઉભા રહેવું પડતું હતું. કોરોનામાં મોતનાં આંકડા સરકાર છુપાવે છે એના અહેવાલો વચ્ચે આજે રોજ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ (Home Minister Pradipsinh Jadeja) કહ્યું છે કે, 'સરકાર મોતના આંકડા છુપાવી રહી છે, તે વાટ તદ્દન ખોટી છે. રાજ્યમાં ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા એકદમ પારદર્શી છે.'
રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા આમાં હકીકત નથી તે તદ્દન આધારહીન સમાચાર છે. આ અહેવાલમાં મરણ પ્રમાણપત્ર એટલે ડેથ સર્ટિફિકેટને આધાર બનાવી જે મૃત્યુંની સંખ્યા ગણવામાં આવી છે તે યોગ્ય નથી. તેમજ તેની સરખામણી કોવિડ 19નાં મૃત્યું અંગે કરવામાં આવી છે જે સંપુર્ણપણે અયોગ્ય છે. ગુજરાતમાં મરણ નોંધણી પ્રમાણપત્ર ઓનલાઇન આપવાની ટ્રાન્સપરન્સીવાળી સિસ્ટમ છે. જ્યારે પરિવારમાં કોઇ મોભી કે સ્વજનનું મૃત્યું થાય ત્યારે પરિવારને તેના મરણ પ્રમાણપત્રની જુદી જુદી રીતે આવશ્યકતાઓ પડે છે. બેંકમાં, એલઆઇસીમાં, મકાનમાં નામ ટ્રાન્સફર કરાવવામાં જરૂરિયાત પડતી હોય છે. જેના કારણે અમે ઓનલાઇન પ્રક્રિયાથી ઘરે બેઠા પારદર્શક પદ્ધતિ વિકસાવી છે.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'ઓનલાઇન પ્રમાણપત્ર માટે એકથી વધારેવાર એક વ્યક્તિ માટે પ્રમાણપત્ર લેવાયું હોય શકે છે. જેથી ઇસ્યુ પ્રમાણપત્ર અને મૃત્યું આંક વચ્ચે તફાવત હોય શકે છે. શોકમગ્ન પરિવારનું ઘણીવાર મૃત્યું પ્રમાણપત્ર માટેનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહી જાય છે. આમ મૃત્યું અંગેનું રજીસ્ટ્રેશન, પ્રમાણપત્ર ઇશ્યું તે તમામ અલગ હોય છે. તેથી આ તમામને આવરીને આ અખબારી અહેવાલમાં જે આંકડા દર્શાવ્યાં છે તે અયોગ્ય છે.'
તેમણે તે પણ જણાવ્યું કે, 'આ અહેવાલમાં વર્ષ 2020 અને 21નાં આંકડાની તુલના કરવામાં આવી છે. 2020માં લોકડાઉન હતુ. અહેવાલમાં જણાવ્યું છે કે, સરકાર મોતનાં આંકડા છુપાવી રહી છે પરંતુ આ વાત તદ્દન અયોગ્ય છે. દેશની અન્ય રાજ્ય સરકાર કોવિડથી થતાં મોત અંગે જે પ્રસ્થાપિત પદ્ધતિ છે તે જ ગુજરાત સરકાર પણ અનુસરે છે.'
નોંધનીય છે કે, સરકારના આંકડા પ્રમાણે છેલ્લા 71 દિવસની અંદર રાજ્યમાં કોરોનાના કારણે 4218 લોકોના મોત થયા છે. જ્યારે આ 71 દિવસની અંદર સરકારી વિભાગ દ્વારા 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ આંકડા ગુજરાતી અખબારે દર્શાવ્યાં હતા. ત્યારે આજ રોજ આ અહેવાલ અંગે પ્રદીપસિંહે જણાવ્યું છે કે, સરકાર SOP પ્રમાણે આંકડા જાહેર કરે છે. પોસ્ટ કોવિડ ડેથને કોવિડ ડેથમાં સમાવેશ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે.