ગાંધીનગર: ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીના કાફલા પર બુધવારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લેરિયા ગામે હુમલો કરવામાં આવ્યો છે. ઇસુદાન ગઢવી આમ આદમીમાં જોડાયા બાદ સોમનાથ મંદિર ખાતે દર્શન કરીને કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારને મળવા માટે "જન સંવાદ યાત્રા"નીકાળી છે. આ યાત્રામાં આપ નેતા ઇસુદાન ગઢવી સાથે ગોપાલ ઇટાલીયા, મહેશ સવાની અને પ્રવિણ રામ જોડાયા છે.
આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે. હુમલો થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા એક #BJPGujaratGoons નો ટ્રેન્ડ ટ્વીટર પર ચલાવવામાં આવ્યો હતો.
આ ટ્રેન્ડમાં આપના કાર્યકરો દ્વારા હુમલો કરનાર લોકો ભાજપના હોદ્દેદાર છે તેવો આક્ષેપ કર્યો છે. હુમલો કરનાર બે લોકોના ફોટોગ્રાફસ વાયરલ કરવામાં આવ્યા છે.
હુમલાની વાયરલ તસવીર
તો બીજી તરફ આપના તમામ નેતાઓ વિસાવદર ખાતે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેઠા હતા. તો સોશયલ મીડિયા પર વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના ખાસ માણસ પણ હુમલામાં હતો તેવો મેસેજ વાયરલ થયો હતો.
આ સમગ્ર મામલે આપ નેતા ઇસુદાન ગઢવીએ નિવેદન આપ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કાફલા પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે. અમારી યાત્રાને સફળતા મળી રહી છે ત્યારે ભાજપ આવા કૃત્ય કરે છે.
તો બીજી તરફ પ્રદેશ ભાજપ સહપ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું કે, જુનાગઢ જિલ્લામાં બનેલી ઘટના સાથે ભાજપાને કોઈ સંબંધ નથી, આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હિંદુ સંસ્કૃતિમાં કથાના શ્રવણપાન અને સંત્સંગનું આધ્યાત્મિક મહત્વ તેના માટે કરેલા વાહીયાત નિવેદનો બદલ બ્રહમો સમાજ ખુબજ નારાજ છે, જેથી આ બનાવ બનેલ હોય તેવું પ્રાથમિક ધોરણે લાગે છે, પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે, ભુતકાળના નિવેદનોને કારણે થયેલ આ ઘટના પર આપ પાર્ટી રાજકીય પ્રસિદ્ધિ માટે ભાજપ પર આક્ષેપ કરતા હોય તેવું લાગે છે. આ પ્રકારના સ્ટંટ માટે આપ પાર્ટી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે, પરંતુ ગુજરાતની સમજુ અને શિક્ષિત જનતા સુપેરે સત્ય જાણે છે. હાલ તો આમ આદમી પાર્ટી અને ભાજપએ બન્ને એક બીજા પર આક્ષેપ કરી રહી છે ત્યારે, જોવાનુંએ રહશે કે, આવનારા દિવસોમાં શુ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ સીધી લડાઈ રહશે કે કોંગ્રેસ પણ મેદાનમાં આવશે.