ગાંધીનગર : દૂધસાગર ડેરીની ચૂંટણી હાઈ પ્રોફાઈલ બની ગઈ હતી. જેમાં બીજેપી સમર્થક પરિવર્તન પેનલનો વિજય થયો હતો. જે પછી આજે પેનલના ચૂંટાયેલા સભ્યો ચેરમેન અશોક ચૌધરી, બીજેપી નેતા અમિત ચૌધરી અને ધારાસભ્ય ઋષિકેશ પટેલ કમલમ ખાતે પહોંચ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
અશોક ચૌધરીએ કહ્યું હતું કે હાલમાં ડેરી પર 2100 કરોડનો બોજો છે જેને લીધે દર વર્ષે 200 કરોડ જેટલું વ્યાજ ચૂકવવું પડે છે. વ્યાજનો બોજો પશુ પાલક પર પડી રહ્યો છે ત્યારે આ બોજો ઉતારવો એ અમારી પ્રાયોરિટી હશે. આ ડેરીમાં ભૂતકાળમાં આક્ષેપ થયા હતા કે સગા સંબંધીઓને નોકરી આપી દેવામાં આવે છે. ત્યારે અશોક ચૌધરીએ કહ્યું હતું કે અમારા ચૂંટણી ઢંઢેરામાં જ એ વાત છે કે હોદ્દેદારોના સંતાન કે સંબંધીઓને નોકરી પણ નહીં આપવામાં આવે કે કોઈ કોન્ટ્રાકટ પણ આપવામાં આવશે નહીં. હાલમાં ઘણી ભરતી ખોટી રીતે કરી દેવામાં આવી છે. મોટા પગાર ઉપર પણ અનેક લોકોને રાખી દેવામાં આવ્યા છે જેને પણ હટાવવામાં આવશે. જેથી ડેરી પરનો બોજો ઓછો થઈ શકે.
આ પણ વાંચો - મહેસાણા : દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરી બનશે નવા ચેરમેન, વિપુલ ચૌધરીનો પરાજય
મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની વિકાસ પેનલ અને અશોક ચૌધરીની પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. 15 બેઠકોમાંથી અશોક ચૌધરીની પરિવર્તન પેનલના 13 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. જ્યારે 2 બેઠક પર વિકાસ પેનલની જીત થઇ છે. પરિવર્તન પેનલનો વિજય થતા હવે દૂધસાગરના ડેરીના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી થશે. આ ચૂંટણીમાં વિપુલ ચૌધરી જૂથને મોટો ફટકો પડ્યો હતો. ખેરાલુ બેઠક પર વિપુલ ચૌધરીની હાર થઇ છે.
Published by:Ashish Goyal
First published:January 06, 2021, 19:20 pm