Home /News /gujarat /લોકપ્રિય, બધાને સાથે રાખીને વિકાસ કરે તેવા ચહેરાની CM તરીકે પસંદગી થશે: નીતિન પટેલ
લોકપ્રિય, બધાને સાથે રાખીને વિકાસ કરે તેવા ચહેરાની CM તરીકે પસંદગી થશે: નીતિન પટેલ
નીતિન પટેલ
Gujarat New CM: 'ગુજરાતની 6 કરોડ 30 લાખની જનતામાં જાણીતો ચહેરો, લોકપ્રિય ચેહરો, સંગઢનમાં મદદરૂપ થાય, દરેક જ્ઞાતિ, જાતી અને સમાજને સાથે લઇને ચાલે તેવા નેતાની પસંદગી થાય છે'
ગાંધીનગર : ગુજરાતનાં રાજકારણમાં (Gujarat Politics) મુખ્યમંત્રીના પદ પરથી વિજય રૂપાણીએ (Vijay Rupani resignation) રાજીનામું આપતા, અનેક નામો લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અનેક નેતાઓના નામ નવા સીએમ(Gujarat new CM) માટે ચર્ચાઇ રહ્યાં છે. ત્યારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) વાતચીતમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય નેતૃત્વ કેવા નેતાને સીએમના પદ માટે પસંદ કરી શકે છે. તેમણે તે વાત પણ સ્પષ્ટ રીતે જણાવી કે, જે પણ મુખ્યમંત્રી હશે તેની સામે ચૂંટણી જીતવા માટેનો પણ એક પડકાર છે.
'લોકપ્રિય ચહેરાની પસંદગી થાય છે'
નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'રાષ્ટ્રીય નેતાઓ ધારાસભ્યો, નેતાઓ સાથે વાત કરીને પોતાના નિષ્કર્ષ પર આવશે. હંમેશા પાર્ટી મજબૂત, લોકપ્રિય અને બધાને સાથે રાખીને ચાલે તેવા નેતૃત્વને જ પસંદ કરે છે. ગુજરાતની 6 કરોડ 30 લાખની જનતામાં જાણીતો ચહેરો, લોકપ્રિય ચેહરો, સંગઢનમાં મદદરૂપ થાય, દરેક જ્ઞાતિ, જાતી અને સમાજને સાથે લઇને ચાલે તેવા નેતાની પસંદગી થાય છે. આ ખાલી સ્થાન પુરવા માટેની કોઇ કાર્યવાહી નથી.'
'નવા સીએમ સામે અનેક પડકારો છે'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'સવા વર્ષ પછીના સમય બાદ જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે, આવનારી ચૂંટણીને જીતવા માટે જે પણ કોઇ યોજના- ગરીબો, ખેડૂત,મહિલાઓ, આદિવાસી કે કોઇની પણ માટે અમલમાં મૂકવાની હોય કે મુકાશે. આવનારા સમયમાં જે પણ કોઇ સીએમ હશે તેને આ પડકાર રુપ કામગીરી બધાને સાથે રાખીને કરવાની રહેશે.'
નીતિન પટેલે જણાવ્યું કે, 'વિજય રૂપાણીએ કેમ રાજીનામું આપ્યું તે અંગે કોઇ ટિકા ટિપણી નથી કરવી મુખ્યમંત્રી પોતે સક્ષમ છે, પોતે સંગઠનમાંથી આવેલા, કાર્યકરથી મુખ્યમંત્રી બનેલા વ્યક્તિ છે, આ સાથે રાષ્ટ્રિય નેતાઓ સાથે સતત સંપર્કમાં રહ્યા છે, એટલે તેમણે કેમ રાજીનામું આપ્યું તે અંગે કાંઇ કહેવું તે મારે માટે યોગ્ય નથી.'
પોતે સીએમની રેસમાં છે કે નહીં? આ પ્રશ્નમાં તેમણે કહ્યું કે, 'અમારું રાષ્ટ્રિય નેતૃત્વ જે પણ નિર્ણય લે તે હંમેશા અમે સ્વીકારતા આવ્યા છે. એટલે જ ગુજરાત ભાજપના કાર્યકરોની એકતા ઉદાહરણરૂપ છે. આ કોઇ રેસ નથી. હું એક ધારાસભ્ય છું અને નાયબ મુખ્યમંત્રી છું. નિર્ણય કરવાનો અધિકાર એ પાર્ટીનો છે.'