Home /News /gujarat /નીતિન પટેલ પર 'રાજકીય સ્ટ્રાઇક'?; મેટ્રોની આમંત્રણ પત્રિકામાંથી પણ નામ ગાયબ!

નીતિન પટેલ પર 'રાજકીય સ્ટ્રાઇક'?; મેટ્રોની આમંત્રણ પત્રિકામાંથી પણ નામ ગાયબ!

નીતિન પટેલનું નામ કપાતા તેમના પર 'રાજકીય સ્ટ્રાઇક' થઈ હોવાની ગાંધીનગરના રાજકીય આલમમાં ચર્ચા થઈ રહી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ફરી જાહેર લોકાર્પણના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી ગાયબ થયું છે. આ અગાઉ એસવીપી હૉસ્પિટલના લોકર્પણની આમંત્રણ પત્રિકામાંથી પણ તેમનું નામ ગાયબ થયું હતું.

હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: આગામી 4 માર્ચે શરૂ થનારી અમદાવાદ મેટ્રો સેવાના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ કપાયું છે. નીતિન પટેલનું નામ કપાતા તેમના પર 'રાજકીય સ્ટ્રાઇક' થઈ હોવાની ગાંધીનગરના રાજકીય આલમમાં ચર્ચા થઈ રહી છે. આ અગાઉ વી.એસ. હૉસ્પિટલના લોકાર્પણ વખતે પણ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ કપાયા બાદ ફરી એક વાર તેમનું નામ કપાતા નીતિન પટેલને જાણીબુજીને "સાઇડ ટ્રેક" કરાઈ રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આગામી 4 માર્ચે વડા પ્રધાન મોદી અમદાવાદ મેટ્રોના ફેઝ-1નું લોકાર્પણ કરવાના છે. આ આમંત્રણપત્રિકામાં વડા પ્રધાન, રાજ્યપાલ, મુખ્ય મંત્રી, કેન્દ્રી મંત્રી હરદિપસિંહ પુરીના નામનો જ અતિથિ તરીકે ઉલ્લેખ છે. આ બાબત જાણી જોઈને કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. નીતિનભાઈ રાજ્ય સરકારમાં નંબર-2 પ્રધાન છે, આ આમંત્રણ પત્રિકામાં જાપાનના રાજદૂત, અને અમદાવાદના મેયરના નામનો પણ ઉલ્લેખ છે, પરંતુ નાયબ મુખ્ય મંત્રીનું નામ કપાયું છે.

આ પણ વાંચો:  4-5 માર્ચે PM મોદી ગુજરાત પ્રવાસે, કરશે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

આ પરિસ્થિતિને લીધે એવી પણ ચર્ચા છે, કે નીતિન પટેલને આગામી લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર કે અન્ય બેઠક પરથી લડાવી દિલ્હી મોકલી દેવામાં આવે તેવી ચર્ચા છે. નીતિનભાઈનું છાશવારે નામ કપાતું હોઈ અને પોતાનાથી જુનિયર એવા મુખ્યમંત્રી રૂપાણીના વડપણ હેઠળ કામ કરવાનું તેમને આવતું હોઈ, તેઓ પણ બદલાની ભાવનાથી અનેક મહત્ત્તવપૂર્ણ ફાઇલો નાણા વિભાગ અટકાવી દેતા હોવાની ચર્ચા સચિવાલય સંકુલમાં જોરશોરથી ચાલે છે.

આ પણ વાંચો: અમિત શાહનું 'મિશન ગુજરાત' બે દિવસ ગુજરાતના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે

બંધારણીય રીતે નાયબ મુખ્યમંત્રી હોદ્દો માન્ય નથી !
નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો બંધારણીય રીતે માન્ય નથી હોતો તેથી કોઈ પણ સરકારી કાર્યક્રમમાં તેમનું નામ લખવું ટેક્નિકલી ફરજીયાત નથી હોતું। જો કે એક સમજના ના ભાગરૂપે ઘણુંખરું બંને વરિષ્ઠ નેતાઓ સમજણથી આગળ વધે તેવું ઇચ્છનીય હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી એવું ચર્ચાય રહ્યું છે કે, મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેના ખટરાગના કારણે વારંવાર તેમનું નામ આમંત્રણ પત્રિકામાંથી કાપી તેમને કટ-ટૂ સાઇઝ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આમંત્રણ પત્રિકામાં વડા પ્રધાન, રાજ્યપાલ, મુખ્ય મંત્રી અને કેન્દ્રીય મંત્રીના નામ અતિથી તરીકે લખવામાં આવ્યા છે.


આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસ MLA ઈમરાન ખેડાવાલા પર હુમલો, અપાઈ મારી નાખવાની ધમકી

સરકાર બની ત્યારે નારાજ થયા હતા
નીતિન પટેલ પાસેથી વર્ષ 2017 વિધાનસસભાની ચૂંટણી બાદ ખાતાની ફાળવણીમાં નાણા અને શહેરીવિકાસ ખાતું આંચકી લેવામાં આવ્યું હતું। જોકે, તેમની નારાજગી બાદ વડા પ્રધાન મોદીએ મધ્યસ્થી કરી અને તેમને સમજાવ્યા હતા અને નાણા વિભાગ તેમને સોંપવામાં આવ્યો હતો. નીતિન પટેલ અનુભવી હોવા છતાં તેમની સામે મુખ્ય મંત્રી વિજય રૂપાણી પહેલી જ ટર્મમાં કેબિનેટ મંત્રી અને મુખ્ય મંત્રી બન્યા છે, જેના કારણે તેમની વચ્ચે ખટરાગ હોવાની ચર્ચાઓ છે. સચિવાલયમાં નીતિન પટેલથી અધિકારીઓ ડરતા હોવાની છાપ છે. કોઈ પણ અધિકારી ખોટું કરતા ડરે છે. તેથી રૂપાણી સરકારને લાગી રહ્યું છે કે જો નીતિન પટેલ હશે તો તેમની દાળ નહીં ગળે. આમ ચોક્કસ રાજકીય ગણતરીના ભાગરૂપે તેમની કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાંથી બાદબાકી કરી દેવામાં આવી રહી છે.
First published:

Tags: Ahmedabad Metro, Inauguration, Politcs, નિતિન પટેલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો