ન્યૂઝ18ગુજરાતીઃ સમગ્ર રાજ્યમાં ઉનાળાની અસહ્ય ગરમી શરૂ થઇ ગઇ છે. ત્યારે આવા સંજોગોમાં અબોલ પશુઓની હાલત વધારે કફોડી બનતી હોય છે. રાજ્યમાં પશુપાલકો દ્વારા આ ગરમીના સમયગાળા દરમિયાન પશુઓને ગરમીથી રક્ષણ આપવા જરૂરી તકેદારી રાખવામાં આવે તો પશુઓને ગરમીથી રહાત મળી શકે છે. રાજ્યના પશુપાલક નિયામક દ્વારા પશુપાલકોએ પશુઓને ગરમીથી રક્ષણ આપવા શું કરવું જોઇએ તે માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.
અત્યારના દિવસોમાં વાતાવરણમાં તાપમાન વધુ રહેતું હોવાથી દુધાળા પશુઓની ઉત્પાદકતા ઉપર તથા તંદુરસ્ત પશુઓના આરોગ્ય ઉપર વિપરીત અસર થવાની પુરેપુરી સંભાવના છે. જેથી ઉનાળામાં પશુઓને ગરમીથી રક્ષણ આપવા રાજ્યના પશુપાલકોને પશુપાલન નિયામક દ્વારા કેટલીક તકેદારી રાખવા જણાવ્યું છે. જે આ પ્રમાણે છે.
પશુપાલકોને ધ્યાન રાખવા જેવી બાબતો - પશુઓે છાંયડામાં (શેડ અથવા ઝાડ નીચે) રાખવા - શેડ ઉપર ડાંગર કે ઘઉંના પુળિયા નાંખી કે શેડના પતરાં ઉપર સફેદ કલર કરી શેડનું તાપમાન જાળવવું - પશુઓને શેડમાં પુરતી જગ્યા આપવી - પશુઓને દિવસ દરમિયાન સતત, પુરતુ, સ્વચ્છ ઠંડુ પાણી આપવું -પશુઓને ખોરાક દિવસના ઠંડા કલાકો દરમિયાન આપવો -પશુઓના ખોરાકમાં બાયપાસ પ્રોટીન અને બાયપાસ ફેટનો ઉપયોગ કરવો -પશુઓને દૈનિક મિનરલ મીક્ષર 75-80 ગ્રામ તથા મીઠું 20-25 ગ્રામની માત્રામાં આપવું -પશુઓના શેડમાં પંખા, એર કુલર, પાણીના ફૂવારા, ફોગરનો ઉપયોગ કરવો - અતિશય ગરમીમાં પશુઓ ઉપર પાણીનો સીધો છંટકાવ કરવો - પશુઓને તળાવ અથવા પાણી ભરેલા ખાડામાં જલવિહાર માટે મોકલવા -પશુઓને રાત્રિના સમયે ચરિયાણમાં મોકલવા -પશુઓને લુ લાગવાના કિસ્સામાં નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરી સારવાર આપવી