સંજય જોશી, અમદાવાદ: GSTના કાયદા હેઠળ કંપનીને રૂ. 1,60,79,302નો ટેક્સ, પેનલ્ટી અને વ્યાજ ભરવા અને 1, 60, 00, 000ના માલ-સામાનને ટાંચમાં લેવા કોમર્શિયલ ટેક્સ વિભાગે કરેલા આદેશને હાઇકોર્ટની ખંડપીઠે રદબાતલ કર્યો છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવની ખંડપીઠે સિમાચિહ્ન રૂપ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે,‘વિશ્વસનીય અને મજૂબત સામગ્રીના અભાવે જો ઓથોરિટી સંતોષજનક નિર્ણય પર પહોંચી કાયદાની ધારા 83 હેઠળ હંગામી ધોરણે કરદાતાના માલ કે મિલ્કતને ટાંચમાં લેવાની નોટિસ પાઠવે તો એ કાયદાની દ્રષ્ટિએ દ્વેષપૂર્ણ છે. કાયદાની દ્રષ્ટિએ દ્વેષપૂર્ણ એટલે કે ઇરાદાપૂર્વક ખોટી કાર્યવાહી અથવા તો કોઇ વ્યાજબી કારણ વિના કરવામાં આવેલી કાર્યવાહી. આ પ્રકારના હેતુ માટે ઓથોરિટીને મળેલી વિશેષ સત્તાનો ઉપયોગ કાયદાકીય રીતે દ્વેષપૂર્ણ છે.’
વડોદરાની એક કંપનીને સાંભળવાની તક આપ્યા વિના ટેક્સ, પેનલ્ટી અને વ્યાજ ભરવાની નોટિસ પાઠવવામાં આવી હતી. તે ઉપરાંત તેના ત્યાં સર્ચ દરમિયાન માલને ટાંચમાં લેવા માટેની કાયદા મુજબની સત્તા કમિશ્નર કક્ષાના અધિકારીને હોવા છતાં કાયદા વિરૂદ્ધની કાર્યવાહી કરતાં સમગ્ર મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો.