ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીને કારણે આખા રાજ્યનાં રાજકારણમાં ગરમાવો છે ત્યારે રાજ્યનાં વાતાવરણ પણ તેને સાથ આપી રહ્યું હોય તેમ તેમા પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ તાપમાન વધી શકે તેવી સંભાવનાઓ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાતા પવનથી મતદાનનાં દિવસે મંગળવારે એટલે 23મીએ ગરમીના પ્રમાણમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. અરબી સમુદ્રમાં હાઇપ્રેશર રચાયું છે, જે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ભારત સુધી લંબાવાની શક્યતા હોવાથી 22થી 28 એપ્રિલ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી ફરી 44 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે. આ ગરમીને કારણે ક્યાંક મતદાન પણ પ્રભાવિત થઇ શકે છે.
વાતાવરણની વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે. જેમા વેરાવળ, પોરબંદર અને દિવ જેવા દરિયા કિનારાવાળા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણે વધશે. તો 23 એપ્રિલે ચૂંટણીમાં મતદાન કરવા જતા મતદારોને કાળઝાળ ગરમીનો સામનો કરીને મતદાન કરવું પડશે. આટલી ગરમીમાં બપોરે તો લોકો સામાન્ય પરિસ્થિતિમાં પણ બહાર જવાનું ટાળતા હોય છે ત્યારે મતદાન પણ સવારે 11.00 કલાક પહેલા મહત્તમ થઇ જશે તેવી પણ સંભાવનાઓ રહેલી છે.
મહત્વનું છે કે રવિવારે છ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો હતો. રવિવારે અમદાવાદનું મહતમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.
ગરમીને લીધે મતદાનની ટકાવારીને લઇને રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે. ત્યારે ચૂંટણી પંચે મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. ભારતના સંવિધાનમાં લોક પ્રતિનિધીત્વ અધિનિયમ 1951 અને લોક પ્રતિનિધિત્વ( સુધારા) અધિનિયમ 1996 અનુસાર મતાધિકાર ધરાવતી કોઇપણ વ્યક્તિ મતદાનને દિવસે સવેતન રજાના હકને પાત્ર છે. ઉપરોક્ત જોગવાઇ મુજબ ગુજરાતમાં તા.23 એપ્રિલને મંગળવારે મતદાનના દિવસે રજા જાહેર કરાઇ છે. કોઇપણ ધંધા-રોજગાર, ઔદ્યોગિક એકમ કે અન્ય કોઇપણ સંસ્થામાં નોકરી કે મજૂરી કરતો વ્યક્તિ મતદાનના દિવસે સવેતન રજાને પાત્ર છે. આ જોગવાઇના ઉલ્લંઘન બદલ દંડ અને સજાની પણ જોગવાઇ છે.