આપઘાતને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ? સંતોએ કહ્યુ, 'હરિધામમાં પોલીસ આવી ત્યારે ખબર પડી કે ગુણાતીત સ્વામીએ ફાંસો ખાધો છે'
આપઘાતને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ? સંતોએ કહ્યુ, 'હરિધામમાં પોલીસ આવી ત્યારે ખબર પડી કે ગુણાતીત સ્વામીએ ફાંસો ખાધો છે'
ગુણાતિતચરણ સ્વામી
Vadodara News: આ અંગે ચર્ચા ચાલી રહી છે કે, હરિધામ સોખડા સ્થિત પ્રેમસ્વરૂપ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી તથા સેક્રેટરી જે.એમ.દવેની ત્રિપુટીના ત્રાસથી ગુણાતીત સ્વામીએ આપઘાત કર્યો છે.
વડોદરા: છેલ્લા કેટલાક સમયથી હરિધામ સોખડા (Haridham Sokhda) સતત વિવાદોમાં રહે છે. આજે સોમવાર સુધી, સોખડા હરિધામમાં ગુણાતીત સ્વામીના (Gunatit Swami death) અપમૃત્યુ કેસમાં પોલીસ હજી સુધી ચોક્કસ કારણ જાણી શકી નથી. હરિધામમાં ગુણાતીત સ્વામી જે રૂમમાં રહેતા હતા તે રૂમની નજીક અને સામેના રૂમમાં રહેતા અન્ય છ સ્વામીની પોલીસે પૂછપરછ કરી હતી. સોખડા ગુણાતીત આત્મહત્યા કેસની તપાસ કરજણ સર્કલ પીઆઈને (karjan Circle PI) સોંપાઇ છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સોખડા હરિધામમાં સ્વામીઓના નિવાસમાં રૂમ નંબર 21માં ગુણાતીત સ્વામીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જેની પોલીસને જાણ થયા બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. શરૂઆતમાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ, બાદમાં પીએસઆઇ અને હવે સીપીઆઇને તપાસ સોંપવામાં આવી છે. પોલીસની ટીમે સોખડા હરિધામ પહોંચી તપાસ આગળ ધપાવી હતી.
પહેલા આપઘાતની વાત છૂપાવવામાં આવી
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, રૂમ નંબર 37માં રહેતા હરીસૌરવ સ્વામી, ભગવતપ્રિય સ્વામી રૂમ નંબર 38માં રહેતા યોગીચરણ સ્વામી, ભક્તિસૌરભ સ્વામી તેમજ રૂમ નંબર 20માં રહેતા વિશ્વેશ્વરદાસ સ્વામી અને સરલજીવનદાસ સ્વામીની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે, સ્વામીઓએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમને સવારે ખબર પડી કે, સ્વામી ધામમાં પહોંચી ગયા છે. સ્વામીએ ફાંસો ખાધો તેવુ પહેલા કહેવામાં આવ્યુ ન હતુ. જ્યારે પોલીસ હરિધામમાં આવી ત્યારે જાણ થઇ કે સ્વામીએ ફાંસો ખાધો હતો.
આ અંગે ચર્ચા ચાલી રહી છે કે, હરિધામ સોખડા સ્થિત પ્રેમસ્વરૂપ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી તથા સેક્રેટરી જે.એમ.દવેની ત્રિપુટીના ત્રાસથી ગુણાતીત સ્વામીએ આપઘાત કર્યો છે. પોલીસે અંતિમસંસ્કારની વિધી અટકાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પ્રબોધમ જૂથના હરિભક્તોએ આક્ષેપ કર્યો હતો કે, બે દિવસ પહેલા જ મૃતક સંતે પ્રબોધ સ્વામી પાસે બાકરોલ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમને હરિધામમાં પ્રભુપ્રિય સ્વામી નામના સંત દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
અંતિમસંસ્કારની કાર્યવાહી અટકાવવામાં આવી
ગુરુવારે સવારે છથી સાત વાગ્યાના અરસામાં સોખડા મંદિર પરિસરમાં ગુણાતીત ચરણ સ્વામીનું નિધન થતાં ત્વરીત તેમના અંતિમસંસ્કારની કાર્યવાહી મંદિરમાં જ આરંભવામાં આવી હતી. પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત ચરણ સ્વામીનું મૃત્યુ શંકાસ્પદ હોવાનું જણાવી કલેકટરને આવેદન આપ્યું હતું. તેની સાથે જ એસપીને પણ રજૂઆત કરીને અંતિમ સંસ્કાર અટકાવી દઇને ગુણાતીત સ્વામીના મૃતદેહના પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. જે બાદ પોલીસે વિધી અટકાવીને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલયો હતો. જ્યાં તબીબો દ્વારા ગુણાતીત સ્વામીના મૃતદેહના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
સોખડાથી આવેલા સંતના જણાવ્યા અનુસાર, ગુણાતીત ચરણ સ્વામીનું વહેલી સવારે કુદરતી મૃત્યુ થયું હતું. તેમને શ્વાસ લેવાની તકલીફ હતી. તેઓએ વર્ષ 79માં દિક્ષા લીધી હતી. અગાઉ હરિધામ સોખડાના રસોડામાં સેવા આપતાં હતા. તેઓની ઉંમર થતા હાલમાં તેઓને નિવૃત્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા. તેઓ યોગી આશ્રમમાં રહેતા હતા. મૂળ વંથલી ગામના હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાબિત થશે કે ગુણાતીતસ્વામીનું મૃત્યુ કયા કારણથી થયું હતું.
વડોદરાની એસએસજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, ડો.રંજનકૃષ્ણ ઐયરે પોસ્ટમોર્ટમ અંગે જણાવ્યુ હતુ કે, પેનલ પીએમ કર્યા બાદ પ્રાથમિક તબક્કે હેન્ગિંગ હોવાનું જણાય છે. વિસેરાનો રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર