વડોદરા: સોખડા હરિધામમાં (Sokhda Haridham) ગુરૂવારે એક આઘાતજનક ઘટના ઘટી છે. જેના કારણે તમામ હરિભક્તો શોકમાં ગરકાવ થઇ ગયા છે. 69 વર્ષના ગુણાતિતચરણ સ્વામીનું (GunatitCharan Swami death) નિધન થયુ છે. જેમાં મળતી માહિતી પ્રમાણે તેમના ગળા પર નિશાન જોવા મળ્યા છે. જેના કારણે તેમણે આપઘાત કર્યો છે કે હત્યા થઇ છે તેની વચ્ચે રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. હરિધામના વહિવટદારો આ ઘટનાને પોલીસથી છુપાવીને અંતિમક્રિયાની તૈયારી કરી રહ્યા. ત્યારે જ પોલીસ ત્યાં આવી પહોંચી હતી. જે બાદ તેમણે મૃતદેહનો કબજો લઇને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ. જેમાં પ્રાથમિક તબક્કે ગળેફાંસો હોવાનું જણાય છે. જોકે, વિસેરાનો રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે.
બારણું અંદરથી બંધ હતુ
મળતી માહિતી પ્રમાણે, ગુણાતિતચરણ સ્વામીએ બુધવારે રાત્રે તેમના રૂમની છતમાં લાગેલા લોખંડના હુકમાં 'ગાતરીયુ' બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. 'ગાતરીયુ' એટલે સંતો પહેરે તે ભગવા રંગનું ઉપવસ્ત્ર. તેમની બાજુના રૂમમાં રહેતા પ્રભુપ્રિય સ્વામી બુધવારે ગુણાતિતચરણ સ્વામીને ઉકાળો આપવા માટે ગયા હતા. ત્યારે રૂમ અંદરથી બંધ હતો. તેમણે ખખડાવ્યા છતા નહી ખોલતા તેમણે બીજી ચાવીથી રૂમનો દરવાજો ખોલ્યો હતો. જ્યાં તેમણે જોયુ હતુ કે, ગુણાતિતચરણ સ્વામી ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતા.
સ્વામીનું ગાતરીયુ
પોલીસને જાણ કરાઇ ન હતી
જે બાદ તેમણે હરિધામના વહિવટદારો એટલે કે પ્રેમસ્વરૂપ સ્વામીના ટેકેદારોએ ગુણાતિતચરણ સ્વામીનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. જે બાદ સૌરાષ્ટ્રમાં રહેતા તેમના સંબંધીઓને જાણ કરી હતી. તેઓ ગુરૂવારે સવારે આવી જતા મૃતદેહની અંતિમક્રિયા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જે દરમિયાન તાલુકા પોલીસ આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો અને પોસ્ટ મોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
વડોદરાની એસએસજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, ડો.રંજનકૃષ્ણ ઐયરે પોસ્ટમોર્ટમ અંગે જણાવ્યુ હતુ કે, પેનલ પીએમ કર્યા બાદ પ્રાથમિક તબક્કે હેન્ગિંગ હોવાનું જણાય છે. વિસેરાનો રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
સ્વામીનો રૂમ
આપઘાત છે કે હત્યા એ થિયરી પર પણ તપાસ થશે
આ કેસ અંગે તાલુકા પોલીસના પીએસઆઇ લાંબરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, 'હરિધામમાં ગુણાતિતચરણ સ્વામીના રૂમમાંથી અમે તેઓ પહેરતા હતા તે ભગવુ ગાતરીયુ, ખુરશી, ડોલ, ઓશિકું કબજે કર્યા છે. સ્થળ પરની સ્થિતિ જોતા એવુ લાગી રહ્યું છે કે, તેઓએ ખુરશી પર ડોલ તેના પર ઓશિકું મુકીને હુકમાં ગાતરીયુ બાંધીને ફાંસો ખાઇ લીધો હશે. ડોક્ટરોએ પણ મૃત્યુના કારણમાં 'હેંગિંગ' જ બતાવ્યુ છે. મૃતદેહને સૌપ્રથમ જોનાર વ્યક્તિ પ્રભુપ્રિય સ્વામી છે તેઓએ ફાંસો ખાધેલી હાલતમાં ગુણાતિતચરણને જોયા બાદ મંદિરમાં કોને જાણ કરી હતી. પોલીસને આ ઘટનાની જાણ કરવા માટે કોણે તેમને રોક્યા એ દિશામાં તપાસ શરૂ કરાઇ છે. આ આપઘાત છે કે હત્યા એ થિયરી પર પણ તપાસ થશે. એફએસએલની ટીમે રૂમમાંથી પુરાવાઓ એકત્ર કર્યા છે. પંચનામુ કરવામાં આવ્યુ છે.
થોડા દિવસ પહેલા જ અહીંથી લઇ જવાનું જણાવ્યુ હતુ
પ્રબોધ સ્વામી જુથના ટેકેદારોને આ ઘટના આપઘાત નહી પરંતુ હત્યા લાગી રહી છે. જેથી તેઓની ઉગ્ર માંગ છે કે, આ અંગે ન્યાયિક તપાસ થાય. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, 'ગુણાતિત ચરણ સ્વામી શાંત સ્વભાવના હતા. હરિધામમાં ચાલી રહેલા વિવાદથી તેઓ વ્યથિત હતા. એક સપ્તાહ પહેલા જ અમારા એક હરિભક્તને તેઓએ ફોન કર્યો હતો. જેમા તેમણે કહ્યું હતું કે, મને હરિધામમાંથી લઇ જાવ. મારે પ્રબોધ સ્વામી સાથે રહેવુ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર