લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે, એવામાં નેતાઓના પક્ષ પલટાની શરૂઆત તો થઇ જ ગઇ છે, તો ગુજરાતમાં 26 લોકસભા સીટની ચૂંટણીમાં તમામ પક્ષોએ કમર કસી લીધી છે. એવામાં વરિષ્ઠ નેતા એવા શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં NCPમાં જોડાવાની શક્યાતાઓ વહેતી થઇ છે.
અમદાવાદમાં 29 જાન્યુઆરીએ NCPનું સંમેલન યોજાનાર છે. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે NCPમાં જોડાવાની જાહેરાત થઇ શકે છે. શરદ પવારની હાજરીમાં શંકરસિંહ NCPનો ખેસ ધારણ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બાયડના પૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહ વાઘેલાનો પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ છોડી, ભાજપમાં જોડાયા હતા પણ ભાજપમાં પણ અવગણનાની લાગણી અનુભવતા તેમણે ભાજપ પણ છોડી દીધું હતું. કોંગ્રેસ છોડ્યું અને ભાજપમાં ફાવ્યું નહીં, ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં બાપુ અને તેમના પુત્રની કઇ ભૂમીકા હશે તે જોવું રહ્યું.