જનક દવે, વડનગર : આજે કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે વડનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વડનગરનાં રેલવે સ્ટેશન પર આવેલી ચાની દુકાન કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બાળપણનાં સમયમાં ચા વેચતા હતા તેને કાંચથી મઢી લેવાની જાહેરાત કરી છે. આ જગ્યાને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની વાત કરી હતી.
વડનગરનાં રેલવે સ્ટેશનને તો નવો રૂપ રંગ આપી દેવામાં આવ્યાં છે. પરંતુ ત્યાં આવેલી ચાની દુકાન અંગે વિચારણા ચાલુ હતી કે તેનું નવીનીકરણ થાય કે પછી જેમ છે તેમ રહેવા દેવામાં આવે. આ અંગે આજે પ્રહલાદ પટેલે જાહેરાત કરી છે કે આ ચાની દુકાન ઘણી જ જર્જરિત થઇ ગઇ છે. તો એની ચારે તરફ કાંચ લગાવીને ઢાંકી દેવામાં આવશે. અહીંથી પર્યટકો વડાપ્રધાનની બાળપણની વાતો અંગે જાણી શકે અને તેમણે જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે તે જાણી શકશે.
આ ઉપરાંત પર્યટન મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે હાટેકેશ્વર મહાદેવ, રેલવે સ્ટેશન, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ જેવા પુરાતત્વ સ્થળોની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા સંસ્કૃતિ અને પ્રવાસન પ્રધાન મહેશ શર્માએ જણાવ્યું હતું કે વડનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક નાનકડી ચાની દુકાન છે. નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની શરૂઆત આ ચાની દુકાનથી કરી હતી. વડનગરને વર્લ્ડ હેરિટેજમાં સમાવવા માટે આ રિનોવેશન કરવામાં આવશે. આ પહેલા અમદાવાદના DMR દિનેશ કુમારે જણાવ્યું હતું કે વડનગર રેલવે સ્ટેશન અને મહેસાણા જિલ્લાના અન્ય સ્થળોનો વિકાસ કરવા માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.