PM Modi in Gujarat Visit: નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવશે.
વડોદરા : વડાપ્રધાન મોદી (PM Modi) 17 અને 18મી તારીખે બે દિવસના ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. પીએમ મોદી આજે સાંજે આવવાના છે. જ્યારે આવતીકાલે એટલે 18મી તારીખે પાવાગઢ મંદિરમાં (Pavagadh Temple) દર્શન અને ધજા ચઢાવવાના છે. પાવાગઢના ઇતિહાસમાં આવતી કાલનો દિવસ હંમેશા યાદ રહેશે, કારણ કે સદીઓ બાદ પાવાગઢના માતાજીના મંદિરની ઉપર PM મોદીના હસ્તે ધજારોહણ કરવામાં આવશે.
આપને જણાવીએ કે, પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી ન હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે. મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.
પાવાગઢ મંદિર
આ અંગે મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 15મી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મંદિરમાં તોડફોડના કારણે 'શિખર'ને ખૂબ જ નુકસાન થયું હતું. શિખરની ઉપર એક દરગાહ પણ બનાવી દીધી હતી. જેના કારણે ત્યાં ધ્વજા ફરકાવવી શકાય તેવી જગ્યા નહોતી. તેમણે વધુમાં કહ્યું કે ''દરગાહ પણ તે જ સમયે અસ્તિત્વમાં આવી હશે જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ અહીં હુમલો કરીને પાવાગઢને જીતી લીધું હતું. તેને સદનશાહ પીરની દરગાહ કહેવાય છે. આ દરગાહ વિશે અનેક જુદી જુદી કહાની ઘડી કાઢવામાં આવી છે. જોકે, મારી પાસે તેના વિશે કોઈ નક્કર માહિતી નથી.
મહાકાળી મંદિર
નોંધનીય છે કે, નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવશે. પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે. પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવી છે. જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો, જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઇને લોખંડી સુરક્ષા ગોઠવી દેવાઇ છે
વડોદરામાં પીએમના આગમનને લઇ લોખંડી સુરક્ષા ગોઠવી દેવાઇ છે
મહત્વનું છે કે, 18 જૂન શનિવારે હવે ફરી એકવાર સદીઓ બાદ મહાકાળી મંદિર પર ધ્વજા ફરકશે અને પોતાની જૂની ભવ્યતાને યાદ અપાવે તેમ શીખર સોનાનો ઢોળ ચઢાવેલ ધ્વજ દંડ અને કળશ પણ મૂકવામાં આવ્યા છે. PM શનિવારે સવારે પાવાગઢ જવાના છે. તેઓ મહાકાલી મંદિરમાં જતા પહેલા સૌપ્રથમ ભૈરવ મંદિરની મુલાકાત લેશે જ્યાં તે 'ધ્વજા'ની પૂજા સહિતની પ્રાર્થના કરશે જે પછી મંદિર પર આ ધ્વજાને ફરકાવવામાં આવશે. ત્યારબાદ મોદી વન વિભાગ દ્વારા વિકસિત વિરાસત વનની મુલાકાત લેવાના છે. રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં મીડિયાને સંબોધતા આ ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર