ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં ફરી એકવાર મગફળી કૌભાંડ સામે આવ્યું છે. કચ્છના ગાંધીધામમાં આવેલી શાંતિ ગોડાઉનમાં ખેડૂતોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મગફળીની ગુણીમાં પથ્થર અને માટીના ઢેફા નીકળ્યા હતા. આ મુદ્દે ફરી એક વાર વિપક્ષના નેતા પપરેશ ધાનાણીએ ઝંપલાવ્યું છે. ધાનાણીએ સરકાર અને સત્તાધારી ભાજપ પર સનસનીખેજ આક્ષેપો કર્યો છે. ધાનાણીએ કહ્યું કે સરકારના મળતિયાઓે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ છે. આ કૌભાંડમાં ભાજપના મળતિયાઓ જોડાયેલા છે. ધાનાણીએ એટલેથી ન અટકતાં ત્યાં સુધી કહ્યું કે મગફળી કૌભાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે.
ધાનાણીએ કહ્યું, “ ગુજરાતની જનતા સવાલ પૂછે કે કોના ઇશારે આ મગફળી કૌભાંડ છાવરવામાં આવી રહ્યું છે, તે સવાલ ગુજરાતની જનતા પૂછી રહી છે. પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે છતાં બે બે વર્ષ પછી રાજ્ય સરકાર મગફળી કાંડના મળતિયાઓને છાવરવામાં આવી રહી હતી. મગફળીમાંથી કાંકરા નીકળે તેનો સરકાર જવાબ આપે. સરકારના જ મળતિયાઓએ પહેલાં મગફળીના ગોડાઉન સળગાવ્યા હતા. મેં 96 જગ્યાએ પ્રતિક ઉપવાસ ધરણા કર્યા હતા. ”
ધાનાણીએ હાઇકોર્ટના જજની અધ્યક્ષતા નીચે તપાસ થાય તેવી માંગણી કરતા ધાનાણીએ કહ્યું, “જો મગફળી કાંડની તટસ્થ તપાસ થાય તો મગફળી કાંડના તાર મુખ્યમંત્રી કાર્યલાય સુધી જાય તેવી પૂરતી શક્યતા છે. મગફળી કાંડમાં ચોકીદાર જ ચોર છે.”
ધાનાણીએ કહ્યું હતું કે વર્ષ 2017થી શરૂ થયેલું આ કૌભાગ ચાર હજાર કરોડનું છે. ધાનાણીએ મગફળી કાંડમાં ચોકીદાર ચોર હોવાનો ઉલ્લેખ કર્યો હતો જોકે, નામજોગ કોઈના પર આક્ષેપ કર્યો નહોતો.
સંઘાણીએ કહ્યું કોંગ્રેસ ખોટો આક્ષેપ કરે છે પરેશ ધાનાણીના આક્ષેપ અને કચ્છના મગફળી કૌભાંડ વિશે નાફેડના વાઇસચેરમેન અને સહકારી આગેવાન પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે આ ઘટના વર્ષ 2017ની છે, કોંગ્રેસ ખોટી રીતે આક્ષેપ લગાડી રહી છે. લોકોએ રાજ્યસરકાર અને વિજય રૂપાણી અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકીને રાજ્યમાં 2 લાખ કરતાં વધુ મતથી સીટો જીતી છે. કોંગ્રેસે ખોટી રીતે હોબાળાઓ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી કોઈ એજન્ડા નથી. તેમનો નેતા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન મોબાઇલ વાપરતા જોવા મળે છે.