લોકસભા ચૂંટણીને લઇને માહોલ જામી ગયો છે. નેતાઓ પાર્ટી બદલવાની સાથે સમર્થન આપવા અને ખેંચવાની જાહેરાતો થઇ રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે, હવે કોંગ્રેસના સાથી પક્ષો પણ હાથ ઉંચા કરી રહ્યાં છે. દેશભરમાં કોંગ્રેસના સહયોગી ગણાતી NCPએ ગુજરાતમાં એકહાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તો આદિવાસી પટ્ટામાં મજબૂત પકડ ધરાવતી BTP પાર્ટીએ પણ ગઠબંધન કરવાની મનાઇ કરી દીધી છે.
અમદાવાદ ખાતે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી કે તેઓએ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર અમે મેદાને ઉતારીશું , જ્યાં સુધી કોંગ્રેસને સમર્થન આપવાની વાત છે તો ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ. NCP નેતા જયંત બોસ્કીએ ન્યૂઝ18 સાથે વાતચીતમાં જણાવ્યું કે અમે કોંગ્રેસને અનેક વખત ગઠબંધન માટે વાત કરી પરંતુ તેઓ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી ન હતી. ત્યારબાદ અમે મોવડીમંડળની બેઠક બોલાવી અને તમામ 26 બેઠકો પર ઉમેદવારો ઉતારવાનું નક્કી કર્યું છે. તથા બાય ઇલેક્શન પણ અમે લડીશું. તમે કોના મત તોડશો ભાજપ કે કોંગ્રેસના આ સવાલના જવાબમાં જયંત બોસ્કીએ કહ્યું કે અમે કોઇની બી ટીમ નથી.
તો આદિવાસી બેલ્ટની 8 બેઠકોમાં મજબૂત પકડ ધરાવતી BTP પાર્ટીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે માહિતી આપતાં છોટું વસાવાના પુત્ર મહેશ વસાવાએ જણાવ્યું કે વલસાડ, બારડોલી, વડોદરા, નવસારી સહિતની 8 આદિસાવી બેઠકો પર અમે ઉમેદવારો ઉતારીશું. મહેશ વસાવાએ જણાવ્યું કે જે રીતે દેશમાં કોંગ્રેસ શાસન કરે છે તે અમારી વિચારધારા સાથે મેળ નથી ખાતી. જો કે BTPએ રાજ્યસભા અને જિલ્લાની ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું હવે તેઓ લોકસભામાં કોંગ્રેસ સાથે છેડો ફાટી એકલાહાથે ચૂંટણી લડશે.