વિભુ પટેલ, અમદાવાદ : દક્ષિણ ગુજરાત ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના પરિણામે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દરિયાની સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએથી દક્ષિણ ગુજરાત પરથી ચોમાસું રેખા પસાર થઈ રહી છે.
વરસાદની આગાહીના કારણે ખેલૈયા અને આયોજકોમાં તેમની નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે. ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી વરસાદ પડશે. જ્યારે ત્રીજી ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી આપવામાં આવી છે. આથી આ વખતે અડધી નવરાત્રી વરસાદમાં જ જવાની ભીતિ રહેલી છે. હાલ અમદાવાદ શહેરમા પણ વરસાદી માહોલ જામ્યો છે. શહેરમા વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે. નવરાત્રીને આડે બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો.
મહત્વપૂ્ર્ણ છે કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 129 ટકા વરસાદ નોંધાયો છે. એટલે કે ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે. ચાલુ વર્ષે ચોમાસાના પાકને જરુર હતી તેવા સમયે સમયે વરસાદ થતા ખેડૂતો પણ ખુશ થયા છે. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ સારો થયો છે, જેનાથી જળસ્તર પણ ઊંચા આવ્યા છે. હજી આગામી 48 કલાક ભારેની વરસાદની આગાહી છે. ત્રીજી ઓક્ટોબર સુધી વરસાદી માહોલ પણ યથાવત રહેશે. સામાન્ય રીતે ચોમાસું સિઝન સપ્ટેમ્બરના અંત સુધીમા વિદાય લઈ લે છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ચોમાસું મોડું વિદાય લેશે.