Home /News /gujarat /50 હજાર પરપ્રાંતિયો ગુજરાત છોડી ગયાનો અંદાજ
50 હજાર પરપ્રાંતિયો ગુજરાત છોડી ગયાનો અંદાજ
"કોંગ્રેસ પરપ્રાંતિયો પર હુમલાને પ્રોત્સાહન આપે છે. બાદમાં કોંગ્રેસના પ્રમુખ આ હુમલાઓને વખોડતું ટ્વિટ કરે છે. શું કોંગ્રેસ પ્રમુખે આવું કરવા બદલ શરમાવવું ન જોઈએ?"- વિજય રૂપાણી
"કોંગ્રેસ પરપ્રાંતિયો પર હુમલાને પ્રોત્સાહન આપે છે. બાદમાં કોંગ્રેસના પ્રમુખ આ હુમલાઓને વખોડતું ટ્વિટ કરે છે. શું કોંગ્રેસ પ્રમુખે આવું કરવા બદલ શરમાવવું ન જોઈએ?"- વિજય રૂપાણી
ગાંધીનગરઃ ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા મામલે ભાજપ-કોંગ્રેસ એક બીજાને દોષિત ગણાવી રહી છે. બીજી તરફ સોમવારે પણ યુપી અને બિહારના લોકો પર હુમલાઓ ચાલુ જ રહ્યા હતા. અમૂલના પ્લાન્ટમાં કામ કરતા મજૂરો પર હુમલો થયો હતો જેમાં સાત લોકો ઘાયલ થયા છે. વિવિધ મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે અત્યાર સુધી 50 હજારથી વધારે લોકો ગુજરાત છોડી પોતાના વતનમાં ચાલ્યા ગયાનો અંદાજ છે. અમુક મીડિયા આ આંકડો એક લાખ હોવાનું જણાવી રહ્યા છે.
હુમલાખોરો ગુજરાતીમાં પૂછે છે સવાલ
પરપ્રાંતિયોના હુમલાના અમુક બનાવોમાં પીડિતોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, હુમલો કરનાર તત્વો ગુજરાતીમાં પ્રશ્ન પૂછે છે. જો સામેનો વ્યક્તિ હિન્દીમાં જવાબ આપે તો તેની સાથે મારપીટ કરવામાં આવે છે અને તેને ગુજરાતમાંથી ચાલ્યા જવાની ચમકી આપવામાં આવે છે.
પરપ્રાંતિયો પર હુમલાઓ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રૂપાણી ટ્વિટ કર્યું હતું કે, "કોંગ્રેસ પરપ્રાંતિયો પર હુમલાને પ્રોત્સાહન આપે છે. બાદમાં કોંગ્રેસના પ્રમુખ આ હુમલાઓને વખોડતું ટ્વિટ કરે છે. શું કોંગ્રેસ પ્રમુખે આવું કરવા બદલ શરમાવવું ન જોઈએ?"
વિજય રૂપાણીએ વધુ એક ટ્વિટમાં લખ્યું છે કે, "જો કોંગ્રેસના પ્રમુખ ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાઓને વખડતા હોય તો તેમણે હુમલાઓમાં સંડોવાયેલા તેમની પાર્ટીના કાર્યકરો સામે કડક પગલાં ભરવા જોઈએ. ફક્ત ટ્વિટ કરવાથી કંઈ ન થાય. આ મામલે પગલાં ભરવા જરૂરી છે. પરંતુ શું તેઓ આવું કરશે?"
વિજય રૂપાણીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કરેલા વધુ એક ટ્વિટમાં લખ્યું છે કે, "અમે આ મામલે દોષારોપણ કરવાને બદલે ગુજરાતના તમામ નાગરીકોનો વિશ્વાસ કેળવવા માટે કાર્યકરત છીએ. ગુજરાતમાં તમામ પરપ્રાંતિયો સુરક્ષિત છે."
નીતિશ કુમાર અને યોગી આદિત્યનાથે કરી વિજય રૂપાણી સાથે વાતચીત
યુપી અને બિહારના લોકો પર થઈ રહેલા હુમલાઓ સંદર્ભે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરી હતી. આ અંગે નીતિશ કુમારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, "મેં ગઈકાલે (રવિવાર) ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે વાત કરી હતી. અમે તેમની સાથે સંપર્કમાં છીએ અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જે ગુનેગાર છે તેને દંડિત કરવામાં કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં."