ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર અને રાજકીય રણનીતિ ઘડવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં CWCની બેઠક યોજી પ્રચારની શરૂઆત કરી હતી. આ બેઠક બાદ હવે ફરીથી રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે તેવી માહિતી મળી રહી છે.
રાહુલ ગાંધી આગામી દિવસોમાં ફરીથી ગુજરાત આવશે અને તેઓ અહીં 10 જનસભા સંબોધશે. ખાસ કરીને તેઓ ગુજરાતના ચાર ઝોનમાં બે-બે સભા યોજશે. ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાત આવી પાર્ટી માટે પ્રચાર કરશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની સાથે પ્રદેશના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ રાજ્યભરમાં 100થી વધુ જનસભાઓ ગજવશે. ગુજરાતના ખૂણે-ખૂણે જનસભા યોજી તેઓ પાર્ટી માટે પ્રચાર કરશે. આટલું જ નહીં, પ્રિયંકા ગાંધીને ફરી ગુજરાત આવવા માટે પ્રદેશ કોંગ્રેસે આમંત્રણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીએ પહેલીવાર અમદાવાદમાં જનસંકલ્પ રેલીમાં જાહેર ભાષણ આપ્યું હતું. CWCની બેઠક માટે સોનિયા ગાંધી, મનમોહનસિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર