વિભુ પટેલ, અમદાવાદઃ આ વર્ષે મેઘરાજાએ મનમૂકી હેત વરસાવ્યો છે, પાકને મળેલા જીવનદાનથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે, તો રિપોર્ટ પ્રમાણે અત્યારસુધીમાં પડેલા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાઇ ગયા છે, અત્યારસુધીમાં 83.95 ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે 204 જળાશયોમાંથી 38 જળાશયો 100 ટકા ભરાઇ ગયા છે.
ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે પુરી થઇ છે કારણ કે ગત વર્ષે ગુજરાતમાં જુલાઈ મહિનામાં તો વરસાદ ખેચાયો હતો જેના કારણે ખેડુતોની ચિંતા વધી હતી પરંતુ ઓગસ્ટની શરુઆતમાંથી વરસાદી સિસ્ટમે શ્રીકાર કરાવી દીધા અને ગુજરાતમાં સારો વરસાદ થતા ખેતીના પાકને જીવદાન મળ્યું છે. સાથે સાથે જળાશયો પણ છલકાયા છે.
રાજ્યમાં સરેરાશ 83.95 ટકા વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણી 12 ઓગસ્ટ સુધીમાં ચાલુ વર્ષે 28 ટકા વરસાદ વધુ નોંધાયો છે. ગત વર્ષે 12 ઓગસ્ટ સુધીમાં 55.60 ટકા વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં વરસાદ ઓછો થવાના કારણે વરસાદી ઘટ વધુ હતી પરંતુ ઓગસ્ટના શરુઆતથી એક લો પ્રેશર સક્રિય થયુ અને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ થયો.
ગુજરાતના મોટા ભાગના જળાશયો વરસાદી પાણીથી છલકાઇ ગયા છે. 11 ઓગસ્ટ સુધીમાં 67.05 ટકા જળ સંગ્રહ છે. રાજ્યમાં 204 જળાશયોમાંથી 38 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. 70થી 100 ટકા ભરાઈ ગયા હોય તેવા 26 જળાશયો છે જયારે 50થી 70 ટકા ભરાયેલા જળાશયોની સંખ્યા 22 છે. 25થી 50 ટકા ભરાયા હોય એવા 44 જળાશયો છે.
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં અત્યાર સુધીની સ્થિતિએ 13097.63 એમસી એફ ટી છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 70645.89 એમસી એફ ટી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જથ્થો 13 જળાશયોમાં 2 લાખ 42 હજાર 151 એમસી એફ ટી જે 79.50 ટકા છે.કચ્છના 20 જળાશયોમાં 4725.85 એમ સી એફ ટી 40.22 ટકા સંગ્રહ અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 42626.97 એમ સી એફ ટી 47.57 ટકા જળ સંગ્રહ થયો છે.