વડોદરા: શહેર (Vadodara) પાસેના સાંકરદા ગામ પાસે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં (Durga industrial estate) આયુર્વેદિક સિરપ (Liquor in Ayurvedic syrup bottle) બનાવવાની આડમાં દારૂના વેચાણનું નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેર પીસીબીએ ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કંપની કંકાસાવ નામની આયુર્વેદીક દવાની બોટલમાં આલ્કોહોલ વેચતી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે ફેકટરીમાંથી 30 લાખનો દારુ તથા મશીનરી અને અન્ય સાધનો મળીને 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
માલિક આ પહેલા પણ નકલી સેનિટાઇઝરના કેસમાં ઝડપાયો હતો
નીતિન કોટવાણી, પહેલા નકલી સેનિટાઇઝરના કેસમાં પણ ઝડપાયો હતો તે સાંકરદામાં આયુર્વેદિક દવાના નામે દારૂ બનાવીને તેનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમી સાચી લાગતી બુધવારે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતેના આ પ્લોટમાં દરોડો પાડયા હતા.
નશાબાજોમાં આ સિરપ ખૂબ ડિમાન્ડમાં હતા
ત્યાં જઇને તપાસ કરાતા જાણ થઇ કે, આ પ્લોટમાં વિવિધ મશીનરી હતી તેમજ પ્લાસ્ટિકની બોટલો વિવિધ સાઇઝની મળી હતી. આ બોટલોમાં પ્રવાહી ભરવામાં આવતું હતું. પોલીસે ફેક્ટરીમાં પ્રોડક્શન થતા પ્રવાહીના સેમ્પલ મેળવી એફએસએલનો પ્રાથમિક અભિપ્રાય મેળવતા તે આયુર્વેદિક સિરપ નહી પરંતુ દારુ હોવાનું સામે આવ્યું હતુ. આ અંગે ત્યાં હાજર ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેમણે કંપનીના માલિક નીતિન કોટવાણી તેમજ ભગત બિશ્નોઇ નામના શખ્સ હોવાનું જાણવા મળ્યું હતું.
આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, આયુર્વેદિક સિરપની બોટલ પર કાનકસવ અને શ્વાસવનું લેબલ લગાવ્યા બાદ તેમાં દારુ ભરવામાં આવતો હતો અને બાદમાં તેને માર્કેટમાં વેચાણ માટે મૂકાતો હતો. નશેબાજોમાં આ સિરપ ખૂબ ડિમાન્ડમમાં હતું, કાનકસવ ગટગટાવી નશો કરતા હોવાની વિગતો બહાર આવી હતી.
પોલીસના દરોડા દરમિયાન રૂપિયા 30 લાખનો દારુ તથા દારુ બનાવાની મશીનરી અને સાધનો માલસામાન મળીને કુલ 1 કરોડ રુપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તે સાથે કંપનીના ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.