આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણ સમાજના લોકોને 10% અનામત આપવાની આજે કેન્દ્રીય કેબિનેટે કરેલી જાહેરાતને ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ નિર્ણયને સરકારની લોલીપોપ સમાન ગણાવી હતી.
ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દલિત, ઓબીસી અને આદિવાસી સમાજને બંધારણીય રીતે પ્રાપ્ત થયેલી અનામતની જોગવાઇઓમાં કોઈ છેડછાડ કે હસ્તક્ષેપ ન થાય અને અન્ય કોઈપણ સમાજને અનામત મળે તે અંગે વ્યક્તિગત રીતે મારો કોઈ જ વાંધો નથી. પ્રશ્ન એ છે કે આ બાબત બંધારણીય રીતે ટકી શકે કે કેમ ?
જો કે, વર્ષ-1992 નો ચુકાદો આ નિર્ણયને પરમિટ નથી કરતો। જેનો મતલબ એમ છે કે, આ બંધારણમાં બદલાવ વગર શક્ય નથી. આ તબક્કે લોકસભા ચૂંટણી આડે હવે માત્ર ચાર મહિનાનો સમય બાકી છે ત્યારે આ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત છે. વળી, મરાઠા, જાટ અને પાટીદાર સમુદાય જે મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલો સમાજ છે અને તેમની ઘણા લાંબા સમયની અનામતની માંગ રહેલી હતી.
ખેતી અને ખેડૂતોની હાલત દયામણી છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો પ્રાપ્ત નથી થઇ રહ્યા, બેરોજગારી સહિતની - આ બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવવાને બદલે આ જાહેરાત કરી છે, જે કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી. તેમ છતાં મારો વ્યક્તિગત આ નિર્ણય સામે વાંધો નથી.
શું આ ચૂંટણી પૂર્વેની લોલીપોપ છે ? તેવા સવાલના જવાબમાં જીગ્નેશે જણાવ્યું હતું કે, નિર્વિવાદપણે આ લોલીપોપ છે. જો ખરા અર્થમાં સૌનો સાથ અને સૌના વિકાસનું મોડલ હોત તો સવર્ણોને અનામતની જરૂર જ શી પડત ? કમનસીબે લગભગ બધી જ સરકારો આ મામલે સામુહિક રીતે નિષ્ફળ રહી છે.
આ દેશમાં 1% લોકો પાસે દેશની 65%થી વધુ સંપત્તિ છે. બાકીના 84 કરોડ લોકો માત્ર રોજનું રૂ.20માં ગુજારો કરે છે. આ અસમાનતાને આ સરકારોએ- રાજકીય પક્ષોએ જીવતી રાખી છે. મારી દૃષ્ટિએ 2019ની પહેલા નિર્વિવાદપણે રોજગારીનું સંકટ દૂરકરવાના બદલે ભાજપ સરકાર દ્વારા અપાયેલી અનામતની આ લોલીપોપ છે.