Home /News /gujarat /સરકારના દમન વિરુદ્ધ હાર્દિક પટેલે માનવાધિકાર આયોગને લખ્યો પત્ર

સરકારના દમન વિરુદ્ધ હાર્દિક પટેલે માનવાધિકાર આયોગને લખ્યો પત્ર

ઉપવાસના ચોથા દિવસે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો હાર્દિક પટેલને મળ્યા

માનવાધિકાર આયોગને લખેલા પત્રમાં હાર્દિકે વહીવટી તંત્રને સૂચના આપી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને કાયદાનું શાસન સ્થપાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

ઉપવાસ આંદોલન રોકવા માટે સરકાર તરફથી લેવામાં આવતા પગલાં વિરુદ્ધ હાર્દિક પટેલે મૂળભૂત અધિકાર ભંગની ફરિયાદ કરતો એક પત્ર માનવાધિકાર આયોગને લખ્યો છે. હાર્દિક પટેલે માનવાધિકાર આયોગને લખેલા પત્ર અંગે જાણકારી આપતા ટ્વિટ પર લખ્યું છે કે, સામાજિક ન્યાય અને ખેડૂતો માટે લડાઈ લડતા લોકોને પણ ભાજપની સરકાર રોકી રહી છે. ભાજપમાં માનવતા મરી પરવરી છે, અમે લડીશું અને જીતીશું.

માનવાધિકાર આયોગને લખેલા પત્રમાં હાર્દિકે વહીવટી તંત્રને સૂચના આપી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને કાયદાનું શાસન સ્થપાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

હાર્દિકે લખેલો પત્ર

ચેરમેન શ્રી માનવ અધિકાર આયોગ,1)અમો છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર છીએ અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે, જે પાટીદારના યુવાનોની હત્યા કરવામાં આવી છે તેઓના પરિવારને ન્યાય મળે અને ગુજરાતના ખેડૂતોને, બેકાર યુવાનોને ન્યાય મળે વગેરે બાબતે પ્રજાને સાથે રાખી આંદોલન ચલાવી રહ્યા છીએ.

2) સરકાર શ્રી દ્વારા અમોને હેરાન કરવા અમારા ઉપર ઘણા બધા ખોટા કેસો પણ કરવામાં આવેલા છે તથા અમારી સ્વતંત્રતા જોખમાય તેવા તમામ પ્રકારના પ્રયાસો અત્યાર સુધીમાં કરવામાં આવેલા છે.

3) ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ થાય, ખેડૂતોને ન્યાય મળે અને પાટીદાર સમાજને બંધારણીય રીતે અનામતનો લાભ મળે તેવા હેતુથી અમો છેલ્લાં ઘણાં સમયથી ભુખ હડતાલ પર બેસવા માટે અમદાવાદ કલેક્ટર, ગાંધીનગર કલેક્ટર વગેરે પાસે પરવાનગી માંગેલ હતી પરંતુ સરકાર શ્રી દ્વારા આવી પરવાનગી આપવામાં આવી ન હતી.

4) બંધારણની અંદર ભારતના દરેક નાગરિકને ન્યાય માટે કે પોતાને કે સમાજને થતા અન્યાય માટે કે અત્યાચાર માટે ન્યાય મેળવવા માટે કાયદો અને વ્યવસ્થા જોખમાઈ નહીં તે રીતે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો કે ભૂખ હડતાલ પર બેસવાનો અધિકાર આપેલો છે. અમોએ કાયદો અને વ્યવસ્થા જોખમાશે તો અમારી સંપૂર્ણ જવાબદારી રહેશે તેવી લેખિતમાં બાહેંધરી આપેલ હોવા છતાં અમોને ભૂખ હડતાળ પર બેસવાની પરવાનગી આપેલ નથી.

5) અમોને પરવાનગી ન મળતાં ૨૫/૦૮/૨૦૧૮ નાં રોજ બપોરે ૩:૦૦ વાગ્યાથી અમારા નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા અને અમોને સમર્થન કરવા ગુજરાત અને ગુજરાત બહારથી મોટા પ્રમાણમાં અમારા સમર્થકો આવવાના હોવાથી ૨૪/૦૮/૨૦૧૮ બપોરથી જ પોલીસ દ્વારા ગુજરાતના જુદા જુદા તાલુકા અને જિલ્લા કક્ષાએથી અમારા સમર્થકોને નજરકેદ કરવામાં આવ્યા હતા જેમાં પાલનપુર, ચાણસ્મા, મોરબી, જૂનાગઢ જેવા વિવિધ સ્થળોએથી આવતા પાટીદાર અને અન્ય સમાજના યુવાનો અને ભાઈ-બહેનોને રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા અને તેઓની ગાડીના ટાયરમાંથી હવા પણ કાઢી નાખવામાં આવેલ હતી અને તેઓ ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવેલ હતો અને તેઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

6) ગઇકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી બહેનો મને રાખડી બાંધવા અને આશીર્વાદ આપવા આવતી હોય તેઓને પણ રોકી દેવામાં આવી હતી. મારા સગા-સંબંધીને પણ મને મળતા અટકાવી દેવામાં આવેલા છે. વધુમાં, અમો જે જગ્યાએ ઉપવાસ ઉપર બેઠેલા હતા તે જગ્યાએ અમારા સમર્થકો માટે પાણી, દૂધ કે જમવાનું કરિયાણું કે નાસ્તો પણ પહોંચાડવા દેવામાં આવેલ નથી.

7) અમારા સમર્થકોને પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રોકી તેઓની ગાડીઓ પણ ડિટેઈન કરવામાં આવે છે.

ઉપરોક્ત બાબતો ધ્યાને લઇ તાત્કાલિક આ બાબતે વહીવટી તંત્રને સૂચના આપી અમારા તથા અમારા સમર્થકોના માનવ અધિકારો અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને કાયદાનું શાસન સ્થપાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા અમારી આપશ્રીને વિનંતી છે. તારીખ: 27/08/2018
First published:

Tags: 25th August, Hardik Patel Fast, Paas, Patidar anamat andolan samiti, પાટીદાર, હાર્દિક પટેલ