અમદાવાદઃ રાજપૂત સંગઠનો બાદ હવે પાસના નેતા હાર્દિક પટેલે પણ સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'પદ્માવત' પર રાજ્યમાં પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. આ માટે હાર્દિક પટેલે સીએમ રૂપાણીને એક પત્ર લખ્યો છે. પત્રમાં હાર્દિકે લખ્યું છે કે જો રાજ્યમાં પદ્માવત ફિલ્મ રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સરકારની રહેશે.
હાર્દિકે પત્રમાં શું લખ્યું?
'સમગ્ર રાજ્યની અંદર રાજપૂત સમાજ તથા હિન્દૂ સમાજની લાગણીને દુભાવતી ફિલ્મ પદ્માવતને લઈને ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. પદ્માવત ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. મારી, તમારી તથા આપણા સૌની જવાબદારી બને છે કે ઇતિહાસ આપણો ગૌરવવંતો છે અને તેની સાથે મજાક મને અને તેમને પોષાય તેમ નથી. મહારાણી પદ્માવતી પોતાના રાજ્ય અને સ્ત્રીઓના સન્માન માટે સતી થયા હતા.'
ક્ષત્રિય સમાજે આંખ બંધ કરી રજવાડાઓ આરી દીધા હતા
'હું આપને વિનંતી કરું છું કે કાયદો અને વ્યવસ્થાને તથા લાગણીઓને ધ્યાનમાં રાખીને પદ્માવત ફિલ્મ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવો જોઈએ.'
'દેશની સર્વોચ્ચ અદાલત સપ્રીમ કોર્ટનું અમે માન અને સન્માન કરીએ છીએ. પરંતુ દેશની અખંડિતતા માટે ક્ષત્રિય સમાજે પોતાના રજવાડાઓ આંખ બંધ કરીને મા ભારતીના ચરણોમાં મૂકી દીધા હતા. ત્યારે આપણા સૌની ફરજ બને છે કે, આ રાજપૂત સમાજના સ્વમાનમાં કોઈ કમી ના રહેવી જોઈએ.'
'ગુજરાતની અંદર પદ્માવત રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સરકારની રહેશે.'