અમદાવાદમાં શનિવારે હાર્દિક પટેલની આગેવાનીમાં પાસ કન્વીનરોની બેઠક મળી હતી. જેમાં 25મી ઓગસ્ટે યોજાનાર આમરણાંત ઉપવાસને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પછી પાસ કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જ્યાં જરૂર પડે ત્યાં ઝૂકીશ. આ છેલ્લી લડાઈ છે. ઉપવાસમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રોજ 7 થી 8 તાલુકાના લોકો આવશે. ચોથા અને પાંચમાં દિવસે 10 થી 12 હજાર લોકો આવશે.
હાર્દિકે કહ્યું હતું કે જે દિવસથી જાહેરાત કરી છે તે દિવસથી લોકોએ કહ્યું છે કે લડત સાચી છે. ગામડાના અનેક લોકોએ કહ્યું હતું કે ખેતીલક્ષી વાત કરવામાં આવે. હજુ 28 દિવસો બાકી છે. હું અનેક લોકોને મળીશ. જ્યાં ઝૂકવું પડશે ત્યાં ઝૂકીશ. પ્રવિણ તોગડીયા ખેતી સાથે જોડાયેલા હોવાથી તે પણ આવે તેવું લાગે છે. આ છેલ્લી લડાઈ છે. યશપાલ જાટ, વિનોદ તાવડે લડાઈને સમર્થન આપશે.
ઉપવાસને લઈને પોલીસ પરમિશન ન મળે તો કોર્ટમાં જઈને પરમિશન લેવાની ચીમકી ઉચ્ચારી હતી. હાર્કિદે આગળ જણાવ્યું હતું કે આશા રાખીએ છીએ કે એ.કે.સિંહ સિંઘમની જેમ કામ કરી રહ્યા છે. તે ન્યાયિક પ્રક્રિયામાં પણ સહકાર આપશે. ચાર કલાકમાં કુંવરજીને મંત્રી બનાવતા હોય તો આ તો અઢી વર્ષની લડાઈ છે.
હાલમાં મંદ પડી ગયેલા પાટીદાર અનામત આંદોલનમાં નવા પ્રાણ ફૂંકવા માટે હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો આગામી 25મી ઓગસ્ટથી અમરણાંત ઉપવાસ આંદોલન કરશે. આ દરમિયાન વિવિધ માંગણીઓ કરવામાં આવશે. પાસની સૌથી મોટી માંગણી પાટીદારોને ઓબીસીની જેમ અનામત આપવાની રહેશે. આ ઉપરાંત શિક્ષણ અને આરટીઈ અંતર્ગત ગરીબ બાળકોને પ્રવેશનો લાભ ન મળવાના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવશે.