અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ખૈલેયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે, ગુજરાતમાં આ વખતે નવરાત્રિના (Navratri 2021) પહેલા નોરતે એટલે 7 ઓક્ટોબરથી ચોમાસું વિદાય (Gujarat weather updates) લઇ શકે છે. નૈઋત્યનું ચોમાસું ગુરૂવારથી જ ગુજરાતમાં તબક્કાવાર વિદાય લેવાનું (Monsoon withdrawal from Gujarat) શરૂ કરી દેશે. ગુજરાતમાં આ વખતે જુલાઇ અને ઓગસ્ટમાં ઓછો વરસાદ થયો પરંતુ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થતા રાજ્યમાં ચોમાસાની ઘટ નથી રહી. આ વખતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન 31.44 ઈંચ સાથે મોસમનો સરેરાશ 95 ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે ડાંગ, નવસારી વલસાડમાં વીજળીની ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે
આ ઉપરાંત આગામી ત્રણ દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. સોમવારે દિવસ દરમિયાન સુરતના પલસાણામાં સૌથી વધુ બે ઈંચ જ્યારે સુરતના માંગરોળ, નવસારી, બારડોલી, કામરેજમાં અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
ચોમાસાની વિદાય ક્યારે?
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતા મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ ઘટ 15% છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયનો પ્રારંભ થતો હોય છે. પરંતુ આ વખતે ચોમાસાની વિદાય 7 ઓક્ટોબરે થવા જઇ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે તાપ લાગશે. એટલે ત્યારથી બેવડી મોસમનો અનુભવ થશે.
હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતુ કે, રાજ્યમાં ચોમાસું હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે. તેમણે કહ્યું હતુ કે, ચોમાસું વિદાયના ચિન્હો તરીકે જ્યાં વરસાદ મંડાય છે ત્યાં જ પૂરો થઈ જાય છે. જ્યાંથી વાદળા બંધાયા હોય ત્યાં જ અલોપ થઈ જાય. રાત્રિના પહેલા પ્રહર સુધી વરસાદનું જોર સામાન્ય રહે. મેઘરવો આવતો બંધ પડે. જે સુરીયા પવને વરસાદ આવતો તે જ પવનથી ઝાકળ આવવા માંડે. આ બધા ચોમાસું વિદાય લેવાના ચિન્હો છે. આ સાથે જ્યાં સુધી પૂર્વનો પવન ચોખ્ખો ન થાય ત્યાં સુધી થોડા ઘણા વરસાદી ઝાપટાંની શક્યતા રહેતી હોય છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહના અંતમાં ચોમાસું વિદાય લેવાની શક્યતા રહેશે.
" isDesktop="true" id="1139165" >
ડાંગરના પાકને નુકસાન
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, ધોળકા તાલુકાના કેટલાંક ગામોમાં ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે. જિલ્લાના નવ તાલુકા બાવળા, દસ્ક્રોઇ, ધંધુકા, ધોલેરા, ધોળકા, દેત્રોજ, માંડલ, સાણંદ અને વિરમગામ તાલુકામાં ઊભા પાકને કેટલું નુકસાન થયું છે, તેની જાણકારી માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સરવે થઈ રહ્યો છે.