મયુર માંકડીયા, અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ રવિવારથી ગુજરાત પ્રદેશ ભાજપ તેનો ઝંઝાવાતી પ્રચાર શરુ કરવા જઈ રહ્યું છે. અમદાવાદના યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે ગુજરાતના જાણીતા 370 તબીબો ને જોડી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી આ કાર્યક્રમ નો પ્રારંભ કરાવશે. આ સાથે જ ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર સ્થાનિક પ્રતિષ્ઠિત નાગરિકોને ભાજપમાં જોડી ઘરે ઘરે જઈ કલમ 370 અને 35-એ હટવાથી શું ફાયદા થયા તેનો પણ પ્રચાર કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે પરંતુ તેનો યોગ્ય પ્રચાર થયો નથી તો બીજી તરફ વિપક્ષ આ મામલાને લઈને હાવી થવાનો પ્રયાસ કરે છે. તેવા સમયે હવે ભાજપે રાષ્ટ્રીય એકતા અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે અભિયાન દેશભરમાં ચલાવવામાં આવશે. ગુજરાતની જો વાત કરીએ તો આ અભિયાન આગામી 8 સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામાં આવશે. જેમાં અમદાવાદના યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે 370 ડોકટરોને ભાજપમાં જોડવામાં આવશે. આ સિવાય પ્રબુદ્ધ નાગરિક કે જે સમાજ જીવનમાં એક સારું સ્થાન અને મહત્વ ધરાવતા હોય છે એવા લોકોને પણ ભાજપમાં જોડવામાં આવશે.
જો રાષ્ટ્રીય કક્ષાની વાત કરવાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં 370 સ્થાનોએ મોટા કાર્યક્રમ રાખ્યા છે. જયારે 35 મહાનગરોમાં પ્રદેશના મુખ્ય આગેવાનો સાથેના મોટા કાર્યક્રમો કરવામાં આવશે. જે અંતર્ગત દેશના બે હજાર સમાજ જીવનના જાણીતા લોકોનો સંપર્ક કરવામાં આવશે. પ્રદેશની તમામ વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય 370 લોકોની મુલાકાત કરવી કે જેઓ સમાજ જીવન સાથે જોડાયેલા હોય અને પ્રબુદ્ધ હોય. તેમને કલમ 370 ને લઈને મોમેન્ટો આપવા બુકલેટ આપવી અને કલમ 370 અંગે સાચી સમજણ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ અભિયાનમાં દરેક સાંસદ, મંત્રી, ધારાસભ્યો અને પ્રદેશ નેતાગીરીને ફરજીયાત હાજર રહેવા કહેવામાં આવ્યું છે.એક તરફ વિપક્ષ આ મુદ્દે અલગ અલગ મુદ્દે વિરોધ કરી રહ્યું છે ત્યારે લોકો સુધી યોગ્ય માહિતી પહોંચે તેના માટે ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે અભિયાન યોજવાનો નિર્ણય કર્યો છે.
આ મામલે પ્રદેશ પ્રવક્તા અને સંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજક ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સેવાકીય અને દેશ હિતના કામ હાથ ધરતી હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના કલમ 370 અને 35-એ દૂરકરવાનો નિર્ણય દેશની એકતા અને અખંડિત માટે ખુબ જરૂરી હતો. આ નિર્ણયની સાથે જ હવે અલગાવવાદીઓ અને આંતકવાદીઓ સામે કડક હાથે પગલાં લેવામાં આવશે. સરદાર પટેલ અને શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન એ પૂર્ણ થયું છે. આ રાષ્ટીય એકતા અભિયાન અંતર્ગત એક દેશ એક સંવિધાન સૂત્ર સાથે બે પ્રકારના અભિયાન આવતીકાલ પ્રદેશ ભાજપ પ્રારંભ કરવા જઈ રહ્યું છે. એક જન જાગૂતિ અભિયાન અને બીજું સંપર્ક અભિયાન. જે રાજ્યના 41 જિલ્લા અને 8 મહાનગરોમાં યોજાશે.
આ વિશે ભાજપા પ્રદેશ મંત્રી તથા સંપર્ક અભિયાનના પ્રદેશ સહ સંયોજક અમિત ઠાકર કહ્યું હતું કે ૮ સપ્ટેમ્બર, રવિવારના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં સાંજે 4 કલાકે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી એક્ઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરના હોલ નંબર-2 ખાતે 370 નામાંકિત ડૉકટર્સ ભાજપામાં જોડાશે. ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની ભાવના સાથે 370ની કલમ હટાવવાના ઐતિહાસિક નિર્ણયને સમર્થન આપતાં પ્રબુધ્ધ નાગરિક એવા 370 ખ્યાતનામ તબીબો ભાજપાની વિચારધારા સાથે જોડાઇને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘નયા ભારત’ના સંકલ્પને સિધ્ધ કરવામાં સહયોગી બનશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર