અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે બોગસ કોલ સેન્ટર (Fake call center)નું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આરોપીઓ બેંક લોન લેનારા અમેરિકી નાગરિકો ને ઈ-મેલ દ્વારા યેનકેન પ્રકારે દબાણ કરી રૂપિયા પડાવતા હતા. આ કૌભાંડની જાણ પોલીસને થતા રખિયાલ પોલીસે (Rakhiyal Police) મુદ્દામાલ સહિત ફેક કોલ સેન્ટર (Call Center) ચલાવતા આરોપીઓને ઝડપી પાડયા છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ કોમ્પ્યુટર રીપેરીંગ ના કામકાજ માટેનું બહાનું કરી આ મકાન ભાડે લીધું હતું.
રખીયાલ પોલીસના સકંજામાં દેખાતા આ બંને ભેજાબાજ આરોપીઓ અમેરિકાના નાગરિકો પાસેથી પૈસા પડાવવામાં માહેર છે. ઓન લાઇન ઈ-મેલ કરીને બેન્કમાંથી લોન લેનાર અમેરિકન લોકોને રૂપિયા નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમારા ચેક પણ બાઉન્સ થઈ જશે તેવી ધમકીઓ આપી પોતાની વાતોમાં ભરમાવી રૂપિયા પડાવતા હતા. અમેરિકન ડોલર પેટે ચલણી નાણા મેળવવા માટે MONEY PACK કાર્ડનો ઉપયોગ કરાવી રૂપિયા મેળવતા હતા. આ ભેજાબાજ ટોળકીની કરતુતો રખિયાલ પોલીસના ધ્યાને આવતા પોલીસે રેડ કરી બે આરોપીઓને મોબાઈલ લેપટોપ રાઉટર અને રૂપિયા કરવાના મશીન સાથે ઝડપી પાડયા હોવાનું રખિયાલ પોલીસસ્ટેશન ના પીઆઇ જે વી રાઠોડએ જણાવ્યું છે.
રખિયાલ પોલીસે ઝડપેલા બન્ને આરોપીઓ સુરેશ ઠાકોર અને નરેન્દ્ર કોરડીયા છેલ્લા છ મહિનાથી રખિયાલ વિસ્તારના રાજીવ નગર માં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર કોલ સેન્ટર નું કૌભાંડ ચલાવતા હતા. આરોપીઓ પાસેથી પકડાયેલા મુદ્દામાલમાં લેપટોપ ની સાથે સાથે મળી આવેલા રૂપિયા કરવાના મશીન ને જોઈને સમજી જ જવાય કે અમેરિકન નાગરિકોને લૂંટીને આ ટોળકી બેફામ કાળુ ધન ભેગું કરતી હતી. હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ આ કેસમાં અન્ય આરોપીઓને વોન્ટેડ બતાવી તેની સાથે સંડોવાયેલા બીજા સાગરીતોએ પકડવા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. આરોપીઓ જે મકાનમાં ભાડે રહેતા હતા ત્યાં તેમણે મકાનમાલિકને કોમ્પ્યુટર રીપેરીંગનું કામકાજ હોવાનું કહ્યું મકાન ભાડે રાખ્યું હોવાનું એચ ડિવિઝન એસીપી પ્રકાશ પ્રજાપતિ એ જણાવ્યું છે.
વિદેશી નાગરિકો પાસેથી બોગસ કોલ સેન્ટર ની આડ માં રૂપિયા પડાવવાનું આ નેટવર્ક કોઈ નવું નથી. અગાઉ પણ અનેક ટોળકીઓ બોગસ કોલસેન્ટરમાં ઝડપાઈ ચૂકી છે. પરંતુ નોંધનીય છે કે વિદેશી નાગરિકોને છેતરીને રૂપિયા પડાવવાના કૌભાંડમાં હવે 18 થી 25 વર્ષના યુવાનો જોડાવાનો રેશિયો વધી ગયો છે. એટલે આ લાલબત્તી સમાન કિસ્સો સમાજને સૂચિત કરી રહ્યો છે કે જો યુવાવર્ગને પરિવાર કે વડીલો દ્વારા નિયંત્રણમાં રાખવામાં નહીં આવે તો આવનારા સમયમાં યુવા પેઢી આ પ્રકારની ગુનાખોરીના દલદલમાં ફસાતી જશે.