અમદાવાદઃ આગામી ત્રણ મહિનામાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાશે. આવતી 2 એપ્રિલે અરૂણ જેટલી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને શંકર વેગડની મુદત પુરી થઈ રહી છે. ધારાસભાના બેઠકો ઘટતા ભાજપને નુકશાન થવાનો અંદાજ છે. ભાજપ-કોંગ્રેસ બે-બે બેઠકોની સમજુતી ન કરે તો એક બેઠક માટે ધારાસભ્યોની ભારે ખેંચતાણ થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થતા ભાજપને 99, કોંગ્રેસને 77, તેના સાથીદારોને 3 બેઠકો અને 3 બેઠકો અપક્ષોને મળી છે. ભાજપ સિવાઈનું સંખ્યાબળ 83 ધારાસભ્યોનું થાય છે. ગુજરાતમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના 4 સભ્યો અરૂણ જેટલી, પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા (ત્રણેય કેન્દ્રીય મંત્રીઓ) અને શંકર વેગડની મુદત બીજી એપ્રિલે પૂરી થાય છે. માર્ચ સુધી તેની ચૂંટણી આવી રહી છે. આ વખતે ભાજપની બેઠકો 21 જેટલી ઘટી છે અને કોંગ્રેસની એટલી બેઠકો વધી છે તેની સીધી અસર રાજ્યસભાની ચૂંટણી પર પડશે. રાજકીય તોડફોડની શક્યતા જોવા મળી રહી છે.
જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ નવા સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ પાસે બે સભ્યો ચૂંટાવા જરૂરી ઉપરાંત 4 ધારાસભ્યોની સંખ્યા વધે છે. જ્યારે કોંગ્રેસ અને અન્યની સંખ્યા મળી બે સભ્યો ચૂંટાવામાં 11 જેટલા ધારાસભ્યો ખૂટે છે. આ પ્રાથમિક ગણિત છે, ભાજપના બે અને કોંગ્રેસના એક સભ્ય સરળતાથી રાજ્યસભામાં ચૂંટાઈ શકે તેમ છે. જો બન્ને પક્ષ વચ્ચે બે-બે બેઠકોની સમજૂતી ન થાય તો ચોથી બેઠક જીવતા માટે ગયા જુલાઈમાં અહેમદ પટેલને જીતાડવા અને હરાવવા માટે થઈ હતી તેવી ધારાસભ્યોની ખેંચતાણ થવાની શક્યતા રાજકીય સમિક્ષકો જોઈ રહ્યા છે.
જેમની મુદત પુરી થઈ રહી છે તે ચારેય સભ્યો ભાજપના છે. નવા સમીકરણ મુજબ તેમા ઘટાડો નિશ્ચિત છે. કોંગ્રેસ અડધો ભાગ માંગે તો સ્વભાવિક છે. ભાજપના 4 સભ્યોનાં સ્થાને બે અથવા વધીને 3 થઈ શકે તેમ છે. હાલ ગુજરાતમાંથી રાજ્યસભાના 11 સભ્યો પૈકી 9 ભાજપના અને માત્ર બે જ સભ્યો અહેમદ પટેલ તથા મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસના છે. તેમાં ઓછામાં ઓછા એક અથવા મહત્તમ બેનો વધારો નિશ્ચિત બન્યો છે.