પ્રણવ પટેલ, અમદાવાદ : આજે નવરાત્રીનું (Navratri) છેલ્લુ નોરતું છે અને આવતીકાલે દેશભરમાં વિજયાદશમી (Dussehra) એટલે દશેરા ઉજવવામાં આવશે. ગુજરાતમાં તો દશેરાની સવાર ફાફડા જલેબીની સાથે જ થાય છે. ત્યારે હાલ આરોગ્ય ખાતાનાં અધિકારીઓ ફૂડ સેફ્ટી ઓફિસરોએ ફરસાણ અને મીઠાઇની દુકાનમાં કાચા માલની તપાસ કરીને નમૂના લઇ રહ્યાં છે. આ સાથે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે એએમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે. એએમસીનાં હેલ્થ અધિકારી ડૉ.ભાવિન જોષીએ જણાવ્યું કે, 'શહેરમાં રોડ રસ્તા પર ફાફડા જલેબીનાં મંડપ બનાવવા માટે આરોગ્ય વિભાગની મંજૂરી લેવી પડશે.'
આ વખતે ભાવમાં વધારો થયો છે
આ વખતે દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવા હશે તો 10થી 15 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. આ વખતે ફાફડાની કિંમત પ્રતિ કિગ્રાએ રૂપિયા 460થી રૂપિયા 520 જ્યારે જલેબીની કિંમત પ્રતિ કિગ્રાએ રૂપિયા 580થી રૂપિયા 630 ચાલી રહી છે. ફાફડા-જલેબી માટેની સામગ્રીની કિંમતમાં વધારો થતાં ફરસાણના વેપારીઓએ ફાફડા-જલેબીની કિંમતમાં પણ ભાવવધારો કરી દીધો છે.
'આ વખતે મંદીનું વાતાવરણ'
અમદાવાદ ફરસાણ એસોસિયેશને જણાવ્યું હતું કે, 'શહેરમાં ફરસાણ એસોસિયેશનના 400 સભ્યો છે. આ ઉપરાંત 3 હજાર જેટલા નોંધાયા વિનાના ફરસાણનાં વેપારીઓ છે. જેઓ ફાફડા-જલેબીનું વેચાણ કરતા હોય છે. મોટાભાગના વેપારીઓ દશેરાના બે દિવસ પહેલા મંડપ બાંધીને જ ફાફડા-જલેબીનો વેપાર શરૂ કરી દેતા હોય છે.' જોકે, આ વખતે વરસાદી માહોલ અને મંદીના વાતાવરણને કારણે ફરસાણના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર